Friday, 27 May 2011



ગૃહસ્થી કેવી રીતે બચાવવી? 



      લગ્નજીવન બચાવવાનો કોઈ રસ્તો મને સૂઝતો નથી. કોઈ વખત એવું લાગે છે કે, હું કોઈ અજાણી વ્યક્તિ સાથે જિંદગી પસાર કરી રહી છું અને કોઈ વખત એમ લાગે છે કે, બધું મૂકીને ક્યાંક ભાગી જાઉં. ઓમાનથી એક વામાએ ઈમેઈલ કર્યો છે. 
     મીના સોફ્ટવેર એન્જિનીયર છે. એ સાતેક વરસથી પતિ જીગર સાથે વિદેશ સ્થાયી થઈ છે. પતિ સાથેનું સહજીવન ખોરંભે ચડી ગયું હોય એવું એને લાગે છે. 
     મીના લખે છે, આઠ વરસ અગાઉ જીગર સાથે મારાં એરેન્જડ મેરેજ થયાં. જીગર ભણીને વિદેશ સેટલ થયાં. લગ્ન ભારતીય યુવતી સાથે જ કરવા એ હેતુથી અમારાં બંનેના માબાપના પ્રયત્નોથી મુલાકાત ગોઠવાઈ. બહુ થોડાં જ સમયમાં અમારાં લગ્ન લેવાયાં. લગ્ન બાદ અમે બંને ફક્ત એક અઠવાડિયું સાથે રહ્યાં હોઈશું. જીગર ફરી એમનાં કામે વિદેશ ચાલ્યા ગયા.  
     જીગર પાસે જવા માટે મારાં વિઝા હજુ તૈયાર નહોતા થયાં. એ દિવસોમાં હું  મારાં માબાપ સાથે રહેતી. પતિ પાસે જવાનું નક્કી થાય એ પહેલાં હું બીમાર પડી. મારે મેજર ઓપરેશન કરાવવું પડ્યું. જીગર મારું ધ્યાન રાખવા માટે ભારત આવી ગયાં. 
     મીના એનાં સાસરિયાની વાત લખે છે કે, ‘ઓપરેશન પછી તબિયત થોડી સરખી થઈ એટલે અમે થોડાં દિવસ મારાં સાસરે રહેવા આવ્યાં. સાસુસસરા, જેઠજેઠાણી, અપરણિત નણંદ એમ અમારો સંયુક્ત પરિવાર. જીગરની હાજરીમાં એક વખત મારાં સસરા અને જેઠ વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ થઈ. એ સમયે મારાં જેઠે એમનાં પિતા મતલબ કે મારાં સસરા ઉપર હાથ ઉપાડ્યો. જીગરની સામે આ ઝઘડો થતો હતો એટલે એ વચ્ચે પડ્યાં અને બધાંને છોડાવ્યાં. આ બધી બબાલમાં જીગર એમનાં સ્વભાવ પ્રમાણે વધુ હાઈપર થઈ ગયા. ગુસ્સો કર્યાં પછી જીગર એમની જાત ઉપરનો કાબુ ખોઈ બેસે.’ 
     મીના લખે છે કે, જીગર તો ભારતમાં સેટ થવાનું નક્કી કરીને આવેલાં. પણ રોજબરોજના ઝઘડાંથી કંટાળીને અમે ઓમાન રહેવા આવી ગયાં. પરિવારના ઝઘડાં અને મનભેદમાંથી બહાર આવતાં જીગરને બહુ સમય લાગ્યો. સમય પસાર થતો ગયો તેમ તેમ અમારી જિંદગી પણ સેટ થતી ગઈ.’
મીના મુદાની વાત ઉપર આવે છે. એ કહે છે, ‘ સોફ્ટવેર એન્જિનીયરીંગ કર્યુઁ હોવાથી મને બહુ આસાનીથી નોકરી મળી ગઈ. એ સમયે મારી નોકરી કે બહાર જવા સામે જીગરને કોઈ વાંધો ન હતો. ઓફિસેથી આવીને ઘણી વખત બહુ સહજતાથી પતિ સાથે બધી વાતો કરતી. એ મને મારાં બોસ તેમજ ઓફિસના પુરુષ સહકર્મચારી સાથે કેવી રીતે વર્તવું એનું લેક્ચર આપે. જાણે હું કોઈ બાળક હોય એ રીતે કોની સાથે કેવી રીતે વાત કરવી એ શીખવે.’
     ‘થોડાં દિવસો સુધી તો મેં સહન કર્યું. જો કે એ બાદ જીગર દ્વારા મારી વધુ અને કડક પૂછપરછ થવા લાગી. વાતે વાતે મને રોકવાટોકવામાં આવે. હું મુક્ત વાતાવરણમાં ઉછરેલી છું એટલે આ દબાણ સહન કરવું મારાં માટે સહેલું ન હતું. પતિના મિત્રો સિવાયના કોઈ જણીતાં કે અજાણ્યાં પુરુષ સાથે વાત કરતી એ પણ એમનાથી ન સહન થાય. આ ચર્ચાઓ ક્યારે ઝઘડાંનું સ્વરુપ લઈ લેતી એનો અમને બંનેને ક્યારેય અંદાજ ન રહેતો. આ બધી વાત પરથી એટલી સમજ પડી કે અમારાં બંનેના વિચારો અને સમજ અલગ અલગ દિશામાં ગતિ કરે છે.’
     મીનાના ઈમેઈલમાં આવેલાં શબ્દો જ ટાંકુ તો એ કહે છે, ‘હજુ કંઈ થાળે પડે એ પહેલાં ખબર પડી કે હું પ્રેગનેન્ટ છું. ડીલીવરી કરવા માટે હું ભારત આવી. અમે એક દીકરાના માબાપ બન્યાં. જો કે થોડો સમય એકબીજાંથી દૂર રહ્યાં એમાં અમારાં બંનેનાં સંબંધમાં આવી ગયેલી તાણ થોડે અંશે ઓછી થઈ. ’ 
દીકરાને લઈને એ પતિ સાથે ઓમાન રહેવા આવી. મીનાની મૂંઝવણ એ છે કે એનો દીકરો મોટો થઈ રહ્યો છે. એની નજર સામે માબાપના ઝઘડાં જોઈને ઘણી વખત એ હેબતાઈ જાય છે. એ કહે છે, દીકરો હજુ બે વરસનો માંડ થયો છે. વિદેશની ભૂમિ ઉપર એનાં માબાપને આ રીતે ઝઘડતાં જોઈને એના મન ઉપર શું અસર આવશે? 
     મીના સાથે બે વખત ઈમેઈલથી વાત થઈ. મીનાની વાત ઉપરથી એવું લાગે છે કે, જીગર ટીપીકલ ભારતીય માનસિકતા ધરાવતો પુરુષ છે. કોઈ પરપુરુષ સાથે પત્નીનું હળવું મળવું એને ગમતું નથી. પોતાનો કક્કો જ ખરો એ વાતને જીગર અનુસરે છે. 
     ઘણી વખત બે અજાણી વ્યક્તિઓ ભવોભવનાં સાથીઓ હોય એમ રહે છે તો કોઈ વાર વરસો સુધી એક છત નીચે સાથે રહેતી વ્યક્તિ પણ અજાણી લાગતી હોય છે. એક બાળકના જન્મ બાદ ગૃહસ્થીને ટકાવી રાખવી દરેક સ્ત્રી માટે જીવનનું બહુ મહત્વનું પાસું બની રહે છે. મીના પણ એ જ કરવા માગે છે. એ કરિયર વુમન છે જલદીથી કોઈની દાદાગીરી સહન કરી શકે એવી સ્ત્રી નથી. બીજી બાજુ થોડાંક જ મતભેદ થવાથી પતિથી છૂટાં થઈ જવાનો તો એને વિચાર પણ નથી આવતો. 
     મીનાને એટલી જ વાત કરવાની કે, સંબંધને થોડી સ્પેસ અને થોડો સમય આપવાની જરૂર છે. જીવનસાથીને કોઈ સલાહ આપતી હોય એ રીતે નહીં પણ બંનેને એકબીજાં સાથે થતાં સવાલોને સાથે મળીને, વાતચીત કરીને કોઈ નીવેડો લાવવો જોઈએ. તમે તમારાં જીવનસાથીના વ્યક્તિત્વને સારી રીતે સમજતા હોવ ત્યારે તેની અપેક્ષા મુજબ નાનાનાના વર્તન પણ ઘણીવખત જિંદગી અને ગૃહસ્થીને સરળ અને સહજ બનાવવામાં મદદરૂપ થતાં હોય છે. 

Thursday, 19 May 2011


આપણી વાચા - જ્યોતિ ઉનડકટ

એ સવાલ માને પૂછું કે નહીં ?


     એક સવાલ મનને કોરી ખાય છે. સાથોસાથ એક અવઢવ પણ છે કે, મા અંસી વરસની છે. હવે જીવી જીવીને કેટલું જીવવાની? જતી ઉંમરે એને આ સવાલ પૂછીશ તો એનું દિલ નહીં દુભાય? મારા મનની દુવિધા એને કહું કે પછી વીતી ગયેલી વાત ઉપર ધૂળ વાળી દઉં?
     અમદાવાદથી વડોદરા જતી વખતે બાજુની સીટ ઉપર બેઠેલાં સુનીતાબહેન સાથે અનેક વિષયો ઉપર ચર્ચા થઈ. હું સંબંધો અને પરિવાર વિશેની વાતો લખું છું એ જાણ્યા પછી તો સુનીતાબહેને એમના મનની મૂંઝવણ મારી સામે ખુલ્લા દિલે મૂકી દીધી.
     સુનીતાબહેને પોતાની વાત માંડી, ‘ મારાં લગ્નને તેંત્રીસ વરસ થયાં. બે દીકરીઓની માતા બની. બંને દીકરીઓ સાસરે છે અને સુખી છે. આમ જોવા જાવ તો જિંદગીમાં કોઈ દુઃખ નથી. પતિનો બિઝનેસ સરસ મજાનો ચાલે છે. શારીરિક કે આર્થિક તકલીફ નથી.
     ‘ઓકે, ફાઇન તો, પછી કઈ વાત તમને સતાવે છે? ’
     એ વાત કરતાં પહેલાં સુનીતાબહેનની આંખો ભરાઈ આવી. કોણ જાણે કેટલાં વરસોથી મનમાં ધરબી રાખેલો એ સવાલ એમણે મારી સમક્ષ વ્યક્ત કર્યો.
     સુનીતાબહેને કહ્યું કે, ‘માતાપિતાની પસંદગીના યુવક સાથે મારાં લગ્ન લેવાયાં. લગ્ન કરીને સાસરે આવી ત્યારે સાસરે જાહોજલાલી હતી. ગર્ભશ્રીમંત પરિવારમાં ઊછરી ને શ્રીમંત સાસરે આવી એટલે મને ગોઠવાતાં બહુ વાર ન લાગી. લગ્નની શરૂઆતનો ગાળો બીજાં બધાં યુગલોની જેમ જ બહુ સરસ રીતે પસાર થઈ ગયો. પણ કાયમ માટે જિંદગી એટલી સરળતાથી નથી પસાર થતી. અમારી જિંદગીનું પાસું પલટાયું. પતિને ધંધામાં ખોટ આવી. મોટો બંગલો વેચીને અમારે નાનકડા ભાડાના ઘરમાં રહેવાનો વારો આવી ગયો.
મને સતત એવું લાગતું કે, ખરાબ દિવસોના કલાકો કેમ આટલા લાંબા હોતા હશે? સવારે દીકરીઓ દૂધ માંગે તો મારે રૂપિયાનો વિચાર કરવો પડે. દીકરીઓ દૂધ પી શકે એ માટે મેં અને મારા પતિએ કેટલીય વખત અમારી સવારની ચા પીવાનું ટાળ્યું છે. કિસ્મતને દોષ દઈને રડ્યે રાખવાથી કંઈ નહીં વળે એવું મને સમજાઈ ગયું. એ દિવસથી ખોટમાં ચાલતી પતિની ફેક્ટરીએ જવાનું શરૂ કર્યું. વીસ વરસ દિવસરાતની મહેનત રંગ લાવી. અમારી ગાડી ફરી પાટે ચડી ગઈ.’
     દરેક કાળા વાદળને એક સોનેરી કોર હોય છે. એમ માનીને અમે સંઘર્ષના દિવસો વિતાવ્યા. આંસુ લૂછીને સુનીતાબહેને વાતને આગળ ધપાવી  ‘મારી દીકરીઓનાં લગ્ન અમે અમારી હેસિયત પ્રમાણે કર્યાં. બહુ ખર્ચ ન આવે એ માટે અમે બંને દીકરીઓનાં લગ્ન સાથે કર્યાં. લગ્નનો ખર્ચ તો અમે કાઢી લીધો પણ દીકરીઓને ચડાવવા માટે સોનું અમે નહોતાં ખરીદી શક્યાં. મેં મારાં ઘરેણાં તોડાવીને દીકરીઓને સોનું આપ્યું.’
     તેમણે વાતને આગળ ધપાવી, ‘મારી બાને મારે એક સવાલ કરવો છે. એ સવાલ એમને પૂછું કે નહીં એ અંગે મારા મનમાં સવાલ છે. હું નક્કી નથી કરી શકતી કે શું કરું?’ થોડી ક્ષણોના મૌન પછી એમણે કહ્યું,
‘જ્યારે હું આર્થિક ભીંસમાં હતી ત્યારે મારા એકના એક ભાઈના ઘરે રૂપિયાના થેલાના થેલા ભરેલા મેં જોયા છે. ભાઈની વાત જવા દઈએ કે ભાઈને જવાબદારીઓ હોય એટલે એણે મને મદદ ન કરી. પણ મારી માનેય મારું પેટમાં ન બળ્યું? એણે મને એકેય વાર ન પૂછ્યું  કે બેટા, તને કંઈ મદદની જરૂર છે? ચાલો મારી બા પાસે રોકડ રકમ એટલી ન હોય પણ એની પાસે સોનાના દાગીના તો વધારે હતા. બાએ ધાર્યું હોત તો એ મારી મદદ કરી શક્યાં હોત. મારાં મનમાં એ જ સવાલ છે કે, બા સક્ષમ હતી તો પણ મને મદદ શા માટે ન કરી?’
બીજી તરફ એવો વિચાર પણ આવે છે કે, ‘આવું પૂછીશ તો બાને દુઃખ નહીં થાય?’
     ‘વેલ સુનીતાબહેન, કોઈ વાત દિલને ભારે લાગતી હોય તો પૂછી લેવામાં કંઈ ખોટું નથી. અને હા, તમારા સવાલનો જવાબ ગમે તે હોય એ સમજવાની અને પચાવવાની તૈયારી રાખજો, શક્ય હોય તો મા તરફથી જે જવાબ મળે એને ભૂલીને હળવાં થઈ જજો. બનવાજોગ છે કે, એવી કોઈ મજબૂરી હશે કે એ સમયે એમણે તમને મદદ કરવાનું ટાળ્યું હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો પિયરમાંથી એ સમયે લાખો રૂપિયાની મદદ મળી ગઈ હોત તો તમે હંમેશાં હાઉસવાઇફ બનીને પિયરના પરોપકારના બોજ તળે દબાઈને જ જીવતાં હોત. સંઘર્ષના દિવસોનો તમે તમારી રીતે સામનો કર્યો અને પોતાની રીતે સફળતા મેળવી એ આત્મસંતોષ કોઈની મદદ કરતાં વધુ મહત્વનો છે.
     બાય ધ વે, વાચકમિત્રો તમે શું માનો છો?