આપણી વાચા - જ્યોતિ ઉનડકટ
એ સવાલ માને પૂછું કે નહીં ?
એક સવાલ મનને કોરી ખાય છે. સાથોસાથ એક અવઢવ પણ છે કે, મા અંસી વરસની છે. હવે જીવી જીવીને કેટલું જીવવાની? જતી ઉંમરે એને આ સવાલ પૂછીશ તો એનું દિલ નહીં દુભાય? મારા મનની દુવિધા એને કહું કે પછી વીતી ગયેલી વાત ઉપર ધૂળ વાળી દઉં?
સુનીતાબહેને પોતાની વાત માંડી, ‘ મારાં લગ્નને તેંત્રીસ વરસ થયાં. બે દીકરીઓની માતા બની. બંને દીકરીઓ સાસરે છે અને સુખી છે. આમ જોવા જાવ તો જિંદગીમાં કોઈ દુઃખ નથી. પતિનો બિઝનેસ સરસ મજાનો ચાલે છે. શારીરિક કે આર્થિક તકલીફ નથી.
‘ઓકે, ફાઇન તો, પછી કઈ વાત તમને સતાવે છે? ’
એ વાત કરતાં પહેલાં સુનીતાબહેનની આંખો ભરાઈ આવી. કોણ જાણે કેટલાં વરસોથી મનમાં ધરબી રાખેલો એ સવાલ એમણે મારી સમક્ષ વ્યક્ત કર્યો.
સુનીતાબહેને કહ્યું કે, ‘માતાપિતાની પસંદગીના યુવક સાથે મારાં લગ્ન લેવાયાં. લગ્ન કરીને સાસરે આવી ત્યારે સાસરે જાહોજલાલી હતી. ગર્ભશ્રીમંત પરિવારમાં ઊછરી ને શ્રીમંત સાસરે આવી એટલે મને ગોઠવાતાં બહુ વાર ન લાગી. લગ્નની શરૂઆતનો ગાળો બીજાં બધાં યુગલોની જેમ જ બહુ સરસ રીતે પસાર થઈ ગયો. પણ કાયમ માટે જિંદગી એટલી સરળતાથી નથી પસાર થતી. અમારી જિંદગીનું પાસું પલટાયું. પતિને ધંધામાં ખોટ આવી. મોટો બંગલો વેચીને અમારે નાનકડા ભાડાના ઘરમાં રહેવાનો વારો આવી ગયો.
મને સતત એવું લાગતું કે, ખરાબ દિવસોના કલાકો કેમ આટલા લાંબા હોતા હશે? સવારે દીકરીઓ દૂધ માંગે તો મારે રૂપિયાનો વિચાર કરવો પડે. દીકરીઓ દૂધ પી શકે એ માટે મેં અને મારા પતિએ કેટલીય વખત અમારી સવારની ચા પીવાનું ટાળ્યું છે. કિસ્મતને દોષ દઈને રડ્યે રાખવાથી કંઈ નહીં વળે એવું મને સમજાઈ ગયું. એ દિવસથી ખોટમાં ચાલતી પતિની ફેક્ટરીએ જવાનું શરૂ કર્યું. વીસ વરસ દિવસરાતની મહેનત રંગ લાવી. અમારી ગાડી ફરી પાટે ચડી ગઈ.’
દરેક કાળા વાદળને એક સોનેરી કોર હોય છે. એમ માનીને અમે સંઘર્ષના દિવસો વિતાવ્યા. આંસુ લૂછીને સુનીતાબહેને વાતને આગળ ધપાવી ‘મારી દીકરીઓનાં લગ્ન અમે અમારી હેસિયત પ્રમાણે કર્યાં. બહુ ખર્ચ ન આવે એ માટે અમે બંને દીકરીઓનાં લગ્ન સાથે કર્યાં. લગ્નનો ખર્ચ તો અમે કાઢી લીધો પણ દીકરીઓને ચડાવવા માટે સોનું અમે નહોતાં ખરીદી શક્યાં. મેં મારાં ઘરેણાં તોડાવીને દીકરીઓને સોનું આપ્યું.’
તેમણે વાતને આગળ ધપાવી, ‘મારી બાને મારે એક સવાલ કરવો છે. એ સવાલ એમને પૂછું કે નહીં એ અંગે મારા મનમાં સવાલ છે. હું નક્કી નથી કરી શકતી કે શું કરું?’ થોડી ક્ષણોના મૌન પછી એમણે કહ્યું,
‘જ્યારે હું આર્થિક ભીંસમાં હતી ત્યારે મારા એકના એક ભાઈના ઘરે રૂપિયાના થેલાના થેલા ભરેલા મેં જોયા છે. ભાઈની વાત જવા દઈએ કે ભાઈને જવાબદારીઓ હોય એટલે એણે મને મદદ ન કરી. પણ મારી માનેય મારું પેટમાં ન બળ્યું? એણે મને એકેય વાર ન પૂછ્યું કે બેટા, તને કંઈ મદદની જરૂર છે? ચાલો મારી બા પાસે રોકડ રકમ એટલી ન હોય પણ એની પાસે સોનાના દાગીના તો વધારે હતા. બાએ ધાર્યું હોત તો એ મારી મદદ કરી શક્યાં હોત. મારાં મનમાં એ જ સવાલ છે કે, બા સક્ષમ હતી તો પણ મને મદદ શા માટે ન કરી?’
બીજી તરફ એવો વિચાર પણ આવે છે કે, ‘આવું પૂછીશ તો બાને દુઃખ નહીં થાય?’
‘વેલ સુનીતાબહેન, કોઈ વાત દિલને ભારે લાગતી હોય તો પૂછી લેવામાં કંઈ ખોટું નથી. અને હા, તમારા સવાલનો જવાબ ગમે તે હોય એ સમજવાની અને પચાવવાની તૈયારી રાખજો, શક્ય હોય તો મા તરફથી જે જવાબ મળે એને ભૂલીને હળવાં થઈ જજો. બનવાજોગ છે કે, એવી કોઈ મજબૂરી હશે કે એ સમયે એમણે તમને મદદ કરવાનું ટાળ્યું હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો પિયરમાંથી એ સમયે લાખો રૂપિયાની મદદ મળી ગઈ હોત તો તમે હંમેશાં હાઉસવાઇફ બનીને પિયરના પરોપકારના બોજ તળે દબાઈને જ જીવતાં હોત. સંઘર્ષના દિવસોનો તમે તમારી રીતે સામનો કર્યો અને પોતાની રીતે સફળતા મેળવી એ આત્મસંતોષ કોઈની મદદ કરતાં વધુ મહત્વનો છે.
બાય ધ વે, વાચકમિત્રો તમે શું માનો છો?

ખૂબજ સારી વાત લઈને આવ્યા છો, અને એટલું જ નહિ પણ વાસ્તવિક જીવનમાં પણ આ બાબતનો અનુભવ કરેલ છે અને ત્યારે તેમાંથી એ જ શીખવા મળ્યું કે આપણી અપેક્ષાને કારણે આપણને મા પ્રત્યે દુઃખનો ભાવ થાય છે કે તેણે મદદ ના કરવી જોઈએ? (અમારા અનુભવમાં પાત્રો બદલાય જાય છે, દીકરી પૈસા પાત્ર ઘરમાં છે અને ભાઈઓ અને મા ની પરિસ્થિતિ જર્જરિત હોય છે)
ReplyDeleteહકિકત એ છે કે ના કરવી જોઈએ, જીવનમાં સંઘર્ષ સામે લડતા અને જીવતા જાતે જ શિખવું જોઈએ, નહિ તો જીવન પાંગળું બની જાય છે. અને જાતે કરેલ મહેનતની સુગંધ પણ અલગ જ માણવા મળતી હોય છે, જે જાત અનુભ કર્યાં બાદ જે તેની જાણ થાય છે. તમારા ભાગ્યમાં શું છે તે ઈશ્વરે નક્કી કરેલ છે, તમે તેનો આધાર ના લેતાં શા માટે બીજે ફાંફાં મારો છો... પરમેશ્વરને જો તમે ઈચ્છો છો તે મંજુ હોત તો તેણે તે કરી જ આપ્યું હોત ! વાત કરવી અને અનુભવવી બનેમાં બહુ જ તફાવત છે, પરંતુ જો પરમેશ્વરમાં શ્રધ્ધા રાખીએ તો જરૂર તે પાર ઉતારી દે...
No, let the passe' be it is. Sunitaben has lived thru her time in self relied manner , why to instill guilt complex in maa's mind at such late age, it is not going to yield anything positive except satisfaction of asking. Sunitaben can be careful with her daughters and stand by in case needed or look for daughters around to stand by, now that she herself is well off.
ReplyDeleteએક વાર સ્વતંત્ર રીતે રહ્યા પછી-ભાઇ કે માના પૈસા પર આપણો હક્ક કેવો? ભાઇએ કે કોઈ બીજાએ કેમ મદદ કરવી જોઈએ? બીજા પાસે અપેક્ષા રખાય જ કેમ?--આ મારી અમેરિકન વિચારસરણી છે-મારી દીકરીઓ આવી નથી-અમે તેમને "પુરુષસમોવડી"ની જેમ ઉછેરી છે.
ReplyDeleteમેં અનુભવ્યું છે કે આપણી ગુજરાતી વિચારસરણી બીજાને ગિલ્ટી કેમ બનાવવા એમાં રહેલી છે.
આ લેખ અગાઉ મેં ક્યાંક વાંચ્યો છે-યાદ નથી ક્યાં?
શ્રી જ્યોતિબહેન,
ReplyDeleteन स्त्री स्वातंत्र्यम् अर्हति એ કુવાક્યને આપણે સાચું ઠેરવવું હોય તો જ આવા સવાલ પૂછી શકાય.
પુરુષ હોય કે સ્ત્રી હોય, મન જ્યારે દુર્બળ અને અશક્ત બને ત્યારે જ તેને અન્ય મને મદદ કરે તેવી ઈચ્છા થાય છે. જેનું મન સશક્ત હોય તે વણમાંગી, વણઈચ્છી મદદને પણ નકારે પછી ભલે તે ‘મારા પોતાનાં’ તરફથી આવતી હોય.
પ્રકૃત્તિ સ્ત્રીને કૈંક અંશે પરવશ બનવા મજબૂર કર છે પણ જ્યારે તે પ્રેમી, મિત્ર, પતિ અને સંતાન સહિત કોઈના પણ પરનું માનસિક અવલંબન છોડી શકશે ત્યારે જ તે આઝાદીનું સુખ માણી શકશે.
-માવજીભાઈના પ્રણામ