Saturday, 27 October 2012


 શક્તિ વગર દરેક શિવ ‘શવ’ સમાન છે...
 
 

શક્તિ અને ભક્તિના પર્વની આરાધના ચાલી રહી છે. નોરતાં એટલે યુવા હૈયાઓ હેલે ચડે. નવરાત્રીમાં આપણે માતાજીની આરાધના કરીએ છીએ. સુખ-શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.

મજાની વાત તો એ છે કે, આપણે આપણી અંદર રહેલી કે આપણી આજુબાજુ જીવતી જાગતી શક્તિને ભૂલી જઈએ છીએ. 365માંથી નવરાત્રી શક્તિની આરાધના કરીએ પણ બાકીના 356 દિવસોનું શું? આ દિવસોમાં આપણે કેમ આપણી શક્તિને ભૂલી જઈએ છીએ?

સ્ત્રી શક્તિ વિશેની વાત કરતી વખતે હંમેશાં એક મિત્રની દીકરીની વાત યાદ આવે છે. એ મિત્રને ત્યાં દીકરીનો જન્મ થયો. ત્રણ પેઢીથી પરિવારમાં દીકરી નહોતી જન્મી. આ નાનકડી દીકરીના આવવાથી આખો પરિવાર બહુ રાજી થયો. બાળકોના ડોક્ટરે એ દીકરીને તપાસી. ખબર પડી કે, એની શ્વાસનળી અને અન્નનળીની દીવાલ જોડાયેલી છે. એનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. બધાના જીવ અદ્ધર થઈ ગયા.
બાળકોના ડોક્ટરે ત્યારે એક અદભુત વાત કરી. એમણે કહ્યું કે, દીકરો હોત તો ઓપરેશન પછી એના બચવાના સાંઠ ટકા ચાન્સ હોત પણ આ દીકરી છે એટલે હું એમાં વીસ ટકા વધારી દઉં છું. એનાં બચવાના ચાન્સીસ એંસી ટકા છે. કેમકે એ દીકરી છે, એને ભગવાને પહેલેથી જ એટલી સશક્ત બનાવી છે કે, એ સંજોગો સામે, ઓપરેશન વખતે લડી લેશે. એ દીકરી ઉપર સફળ ઓપરેશન થયું અને આજે એ દીકરી બહુ નોર્મલ એની જિંદગી જીવે છે.

કુદરતી રીતે જ સ્ત્રીમાં મલ્ટિ ટાસ્કિંગ એબિલિટી છુપાયેલી છે. એક સાથે અનેક કામો પાર પાડી શકે છે. ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવાનું હોય, ઘરે શાકભાજી મંગાવવાના હોય, બાળકોની સ્કૂલમાં એન્યુઅલ ડેનું ફંકશન હોય, સાસુનું 'ની' રિપ્લેસમેન્ટ ઓપરેશન હોય, પિયરમાં કોઈ લગ્નપ્રસંગ સાચવવાનો હોય કે પછી સંજોગો સાથે તાલમેલ કરીને જીવનને આગળ ધપાવવાનું હોય. દરેક સ્ત્રી બહુ સહજતાથી આ બધાં જ કામો પાર પાડી શકે છે.

ઓફિસ અને ઘર સંભાળતી સ્ત્રી કરતાં પરિવારને સંભાળતી હોમ મેકર સ્ત્રી વધુ પ્રેશર નીચે રહીને કામ કરતી હોય છે. ઘણી વખત સાથે જીવતાં લોકો એમની કદર નથી કરતાં કે, એમનાં કામને ગંભીરતાથી નથી લેતાં. પણ એ સ્ત્રી જ્યારે બહારગામ ગઈ હોય કે એ બીમાર પડી હોય ત્યારે ઘરની હાલત અને તમારાં શિડ્યુલ્સ કેવાં વિખેરાઈ જાય છે એનો જરા વિચાર કરજો. જો આ વાત તમને રિયલાઈઝ થતી હોય તો સાથે જીવતી એ સ્ત્રીને એપ્રિશિયેટ જરૂર કરજો.

જગદ્દગુરુ આદિ શંકરાચાર્યએ પણ સ્ત્રીના મહત્વ માટે એવું કહ્યું છે કે, સ્ત્રી શક્તિ વિના દરેક પુરુષ ‘શવ’ સમાન છે મતલબ કે સ્ત્રી શક્તિ છે,  અને એ જ શક્તિના કારણે એ સ્વરૂપ સંપૂર્ણ છે. સ્ત્રી વિનાનો દરેક પુરુષ નિર્જીવ છે.

આ વાતથી પુરુષ સાથે જોડાયેલા તમામ સંબંધોને જરા સાંકળી જુઓ. જન્મથી માંડીને જીવન ચાલે ત્યાં સુધી કોઈને કોઈ સ્વરૂપે, સંબંધે અને પ્રકારે સ્ત્રી સાથે પુરુષ જોડાયેલો જ છે. મા, બહેન, પત્ની, દીકરી, પુત્રવધૂ, પૌત્રીથી માંડીને કોઈને કોઈ રીતે સ્ત્રી શક્તિ પુરુષ સાથે જોડાયેલી છે.

ભગવાનનાં સ્વરૂપોમાં પણ અર્ધનારીશ્વર શિવ અને પાર્વતીના સ્વરૂપને સંપૂર્ણ ગણવામાં આવે છે.

સંબંધોની બાબત તો સ્ત્રી હોય કે પુરુષ અરસ-પરસ જોડાયેલી જ રહેવાની છે.

સવાલ માત્ર એટલો જ છે કે, સ્ત્રી ઘણી વખત પોતાના સ્વરૂપને બહુ જ અન્ડરએસ્ટિમેટ કરે છે. પોતાની અંદર રહેલી શક્તિ કે આવડતને પિછાણ્યા વગર પોતાની જાતને સેકન્ડ સિટીઝન ગણીને જીવ્યે જાય છે. નવરાત્રીમાં માતાજીની પૂજા કરતી વખતે જરા પોતાની અંદર પણ નજર નાખવાની જરૂર છે. તમારી અંદર રહેલી શક્તિને એક વરદાન સમજી એને તમારી આવડત સાથે સહજ ગણવા માંડો દરેક મુશ્કેલ રાહ, મુશ્કેલી થોડી સરળ લાગશે. કોઠાસૂઝ, સિક્સસ્થ સેન્સ કે શક્તિનું સ્વરૂપ વગેરે શબ્દો સ્ત્રી સાથે એમ જ નથી વણાઈ ગયાં.

આ દિવસોમાં તમારી જાતને પ્રોમિસ આપો કે, તમારી સાથે જીવતાં દરેક સંબંધને તમે સજીવન રાખશો અને નોરતાંની નવ રાતો જ નહીં પણ વરસના 365 દિવસ તમારી જાતને હંમેશાં સબળ અને સશક્ત માનશો, જીવશો. જીવનના દરેક તબક્કે તમારી સાથે જોડાયેલાં શિવના સ્વરૂપ-સંબંધને શવ નહીં હંમેશાં સજીવન રાખશો.

No comments:

Post a Comment