Saturday, 3 November 2012


          વજન ઉતાર તો જ તને પરણું…!!!


          http://www.globalgujaratnews.com/uploads/news/10_2012/1351321357_Loose_Weight.jpg





કોઈ પણ માનવી માટે દેખાવ બહુ મહત્વનો છે. પોતાનો હોય કે સાથે જીવતી વ્યક્તિનો દેખાવ હોય. પહેલી નજરે કોઈ વ્યક્તિને જોઈએ તો હંમેશાં આપણે એને એના દેખાવથી જ માપીએ છીએ. દેખાવ અને બોડી લેંગ્વેજ પરથી તેને જજ કરીએ છીએ.

એરેન્જ મેરેજમાં પણ દેખાવને સૌથી પહેલાં જોવામાં આવે છે. જોવા આવેલી વ્યક્તિ પહેલી નજરમાં ગમી જાય એવી છે કે નહીં? ગમે તો એ સામેના પાત્રની સાથે શોભશે કે નહીં એ પણ વિચારવામાં આવે છે. થોડી ઘણી પળો વાતો કરીને લગ્ન કરવા કે નહીં તે નક્કી થાય છે.

લવમેરેજ કે પ્રેમમાં પડનારા લોકોની વાત પણ આમ તો દેખાવ ઉપરથી નક્કી થતી હોય છે. સરવાળે એક વાત તો નક્કી કે, દેખાવ મહત્વનો છે.

ઓકે, ઓકે, એગ્રીડ..... ફક્ત દેખાવ જ મહત્વનો નથી, બીજું ઘણું બધું મહત્વનું હોય છે.

શું ફક્ત બાહ્યદેખાવ જ મહત્વનો છે.? શું એ વ્યક્તિ કેવી છે એ મહત્વનું નથી? એ વ્યક્તિનો સ્વભાવ, વર્તન કે રીતભાત, આદતો વગેરે કેવાં છે એ મહત્વનું નથી? એ વ્યક્તિ દેખાવમાં સારી હોય પણ સ્વભાવમાં સારી ન હોય તો તેને કોઈ પસંદ નહીં કરે. અલબત્ત એ વાત સાચી છે કે, કોઈ વ્યક્તિની મુલાકાત ઘણી વખત તેના દેખાવના કારણે યાદ રહી જતી હોય છે. પણ એ વાતેય એટલી જ સાચી કે, દેખાવ પરથી કોઈ વ્યક્તિ કેવી હશે એનું અનુમાન કદીય નથી લગાવી શકાતું.

દેખાવ અને વ્યક્તિના સ્વભાવની વાતો એટલે કરવાનું મન થયું કે, જીમમાં સાથે આવતી એક બહેનપણીની વ્યથા દિલને સ્પર્શી ગઈ. રોજ વજનના કાંટા ઉપર પ્લસ-માઈનસ થતો આંકડો એના દિવસને સુધારે છે કે બગાડે છે. એ બહેનપણીનું નામ માયા. એનું વજન છે પંચોતેર કિલો. માયાને વજન કરવું છે સાંઠ કિલો.

માયાને તેના વધતાં વજનથી કંઈ પ્રોબ્લેમ નથી. તેનાં મા-બાપ કે પરિવારજનોને પણ કોઈ સવાલ નથી. પણ તેને જોવા આવેલા એક છોકરાએ એવું કહ્યું કે, તું વજન ઓછું કર તો હું તને પરણું.

વાત જાણે એમ બની કે, માયાને થોડા મહિનાઓ પહેલાં એના નજીકના પરિવારજનોની ઓળખાણથી પરાગ જોવા આવેલો. પરિવાર સાથે આવેલા પરાગને સુંદર મજાની માયા બહુ ગમી ગઈ. પરાગે પહેલી જ મુલાકાતમાં માયાને કહી દીધું કે મને તું બહુ ગમે છે, પણ તારું વજન થોડું વધારે છે. માયાને વેલસેટલ્ડ લાઈફ જીવતો પરાગ ગમી ગયેલો. તું જો થોડું વજન ઉતારે તો આપણી વાત આગળ ચાલે.

માયા પરણવા માટે એવી ડેસ્પરેટ નહોતી થઈ છતાં પણ એ પરાગ માટે વજન ઉતારવા તૈયાર થઈ ગયેલી કેમ કે અત્યાર સુધી જોયેલા મુરતિયાઓમાં પરાગ તેને સૌથી વધુ ગમી ગયેલો.

માયાએ કસરત કરતાં કરતાં પોતાનો વજન ઉતારવાનો પર્પઝ કહ્યો. વજન નહીં ઊતરે તો શું પરાગ તને નહીં પરણે?

માયાએ તરત જવાબ આપ્યો કે, કેમ નહીં ઊતરે? નવ કિલો તો ઉતારી નાખ્યું.  બસ છ કિલો ઉતારું એટલે અમારી સગાઈ થઈ જશે.
માયાની વાત સાંભળીને મેં તરત પૂછયું કે, લગ્ન કે બાળકોના જન્મ પછી વજન વધી જશે તો શું પરાગ તને છોડી દેશે? આપણી ભારતીય સ્ત્રીઓમાં લગ્ન પછી વજન વધવું બહુ સ્વાભાવિક છે. લગ્ન પહેલાં પરિવારજનો અને નજીકના મિત્રોને ત્યાં જમવાનું અને લગ્ન પછી પણ સજોડે બધાંના ઘરે જમવાનું થાય. લગ્ન પછી લગભગ એંસી ટકા સ્ત્રીઓના વજનમાં વધારો જોવા મળે છે. એક-બે વર્ષ પછી બ્લાઉઝ કે ડ્રેસની અંદરની સિલાઈ કાઢવાનું બહુ સહજ બની જતું હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન વજન વધવું અને બાળકના જન્મ પછી ખાણી-પીણી રીતભાતો બદલાઈ જતાં પણ વજન વધે છે. શું તને આ ભવિષ્યની વાતોની કંઈ ખબર છે ખરી?

માયાએ વાત સાંભળી અને જવાબ આપ્યો, હા મને બધી જ ખબર છે. પણ હું ધ્યાન રાખીશ.

એને અડધેથી જ અટકાવીને મેં કહ્યું, માયા, તને એવું નથી લાગતું કે, તારી અંદરની સ્ત્રીને ઓળખવાને બદલે પરાગ તને દેખાવથી જ તોલી રહ્યો છે. દેખાવ મહત્વનો છે પણ એ દેખાવ જો તમારી રોજબરોજની જિંદગીના સહજીવનમાં હાવી થઈ જાય તો જરા વિચારવું રહ્યું.

શું તે એને કદીય પૂછ્યું છે કે, જો હું જાડી થઈ જઈશ તો તું મને પ્રેમ નહીં કરે? જો લગ્ન પછી વજન વધશે, બેડોળ થઈ જઈશ તો શું તું છૂટાછેડા લઈ લઈશ? માનો કે ઊંધું થયું કે પરાગ જાડો થઈ ગયો કે કોઈ કારણોથી એના દેખાવમાં ફેરફારો થયા તો શું તું એને ફકત આ જ કારણોથી છોડી દઈશ? જીવન આગળ વધશે એમ ઉંમરની અસર બાહ્ય દેખાવ ઉપર પડવાની છે. કોઈ આખી જિદંગી સ્વરૂપવાન કે યુવાન નથી  રહેવાનું. દેખાવ મહત્વનો છે પણ જ્યારે બે વ્યક્તિઓ સાથે રહે છે, એક છત નીચે જિંદગી શેર કરે છે ત્યારે દેખાવની સાથોસાથ એ વ્યક્તિના જીવનની દરેક ક્ષણ તમે એની સાથે જીવતાં હોવ છો. એવી અનેક પળો આવશે જ્યારે દેખાવ બહુ ગૌણ બની જાય છે. લગ્નજીવન અને સહજીવનમાં દેખાવનો મોહ ધીમે ધીમે પ્રેમ અને સંભાળમાં પરાવર્તિત થવો જોઈએ.

ફિટ રહેવું અને વજન ન વધે એ વાતનું ધ્યાન રાખવું એ સારી વાત છે. પણ એ વાત લગ્નની શરત બની જાય તો?

તમે શું માનો છો, શું વજન ઊતરે પછી જ લગ્ન કરવાનો પરાગનો આગ્રહ સાચો છે?






No comments:

Post a Comment