Tuesday, 23 September 2014

વેલ્યુ અને કલ્ચર રોજિંદી ઘટના છે 


એકમેકનાં મન સુધી - જ્યોતિ ઉનડક
સંસ્કાર, સંસ્કૃતિ, સમાજ અને સમજ દરેક વ્યક્તિ સાથે જન્મથી જ જોડાયેલાં હોય છે. બાળકના જન્મ સાથે સંસ્કારની શરૂઆત થાય છે. સંસ્કાર માત્ર શબ્દોથી નથી અપાતા. માણસનું દરેક વર્તન સંસ્કારનો સ્ત્રોત છે. ક્યારેક સવાલ થાય કે સંસ્કાર એટલે શું? અને સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એ બીજું કંઈ નથી, પણ સંસ્કારનો મોટો સમૂહ છે. સંસ્કાર માત્ર વારસાગત નથી હોતા, વ્યક્તિગત હોય છે.
સંસ્કાર વિશે લખવાનું મન ધ ફર્સ્ટ લેડી ઓફ અમેરિકા મિશેલ બરાક ઓબામાની એક ટ્વિટ વાંચીને થયું. મિશેલે ટ્વિટ કર્યું છે કે, એવરી ડે વી એઝ પેરેન્ટ્સ શેપ ધ વેલ્યુઝ ઓફ ધ નેક્સ્ટ જનરેશન. આડકતરી રીતે એવું કે, સંસ્કાર અને સંસ્કૃતિ કોઈ એક દિવસની ઘટના નથી. સંસ્કાર કોઈ એવું પેકેટ નથી જેને તમે સુંદર મજાના ગિફ્ટ પેપરમાં પેક કરીને આપી શકો. સંસ્કાર તો જન્મની પહેલી ક્ષણથી માંડીને જીવનની અંતિમ ક્ષણ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે.
કોઈ પણ વ્યક્તિનું વર્તન એના સંસ્કારો રિફલેક્ટ કરે છે. કેમ આપણને કોઈ માણસનું વર્તન ગમી જાય છે. એવું કયું તત્ત્વ હોય છે જે આપણને કંઈક ખરાબ કે ખોટું કરતાં રોકે છે. આ એવું કંઈક એ જ સંસ્કાર છે. હમણાંનો જ એક પ્રસંગ યાદ આવે છે. એક નાના ગામડામાંથી એક છોકરી હાયર સ્ટડીઝ માટે મોટા શહેર જતી હતી. એણે હોસ્ટેલમાં રહેવાનું હતું. મમ્મી અને પપ્પાના ચહેરા ઉપર અંકાયેલી ચિંતાની રેખાઓ એ છોકરી જાણી ગઈ. મમ્મી-પપ્પા કંઈ કહે એ પહેલાં જ એણે કહ્યું કે, મને ખબર છે તમારાં મનમાં શું ચાલતું હશે. હું બીજું કંઈ જ કહેતી નથી માત્ર એટલું જ કહું છું કે, તમે ભરોસો રાખજો. ભરોસો માત્ર મારા ઉપર નહીં પણ તમે મને આપેલા સંસ્કારો ઉપર પણ રાખજો.
બીજો એક કિસ્સો જરા જુદો છે. એક છોકરીથી એક ભૂલ થઈ જેનાથી એનાં મા-બાપ દુઃખી હતાં. દીકરીની એક ભૂલથી વ્યથિત મા-બાપ એવું વિચારતાં હતાં કે, આપણા ઉછેરમાં કંઈક કમી રહી ગઈ હશે. નહીં તો આપણી દીકરી આવું ન કરે. ત્યારે એ દીકરીની માતા બોલી ઊઠી કે, આપણે તો એને સારા સંસ્કાર આપ્યા હતા, પણ સંસ્કાર કે કુસંસ્કાર માત્ર એક જ જગ્યાએથી નથી મળતા. એણે કદાચ પોતાના સંસ્કારોની અલગ જ વ્યાખ્યા બનાવી હશે. તમે તમારા સંસ્કાર કે કુસંસ્કાર માટે કોઈને દોષી ન ઠેરવી શકો. કમળ ક્યારેય નથી કહેતું કે, મને ઊગવા માટે કીચડ જ કેમ મળ્યો? જેને ખીલવું હોય છે એ ખીલી જ જતા હોય છે. આપણી ફરજ એટલી છે કે, આપણે રોજેરોજ કંઈક સારું શીખતા રહીએ અને આપતા રહીએ.
સંસ્કાર શું માત્ર મા-બાપ તરફથી કે ઘરમાંથી જ મળે છે? એનો જવાબ છે, ના. ત્યાં તો માત્ર નખાય છે એ પાયો કેવો છે એના ઉપર ઘણો બધો આધાર રહે છે. છેલ્લે ઇમારત તો વ્યક્તિએ પોતે જ ચણવાની હોય છે. ઘરમાંથી બહાર પગ મૂક્યા બાદ મિત્રો હોય છે, સમાજ હોય છે, શાળા-કોલેજ અને પછી કરિયર હોય છે. આ સફર કાપતી વખતે ઘણું બધું સામે આવતું હોય છે. આપણે એમાંથી જે ગ્રહણ કરીએ એના ઉપર જીવનની ઇમારત રચાતી હોય છે. કેટલીક ઇમારત તો બનતા પહેલાં જ ખંડેર બની જતી હોય છે, જ્યારે કેટલીક ઇમારતો અનેક બદીઓની વચ્ચે પણ બુલંદ રહેતી હોય છે. કોઈ પેરેન્ટ્સ કોઈ દિવસ ખરાબ સંસ્કાર આપી ન શકે. આપણે એ સાચવી ન શકીએ તો એના માટે આપણાથી વધુ જવાબદાર કોણ હોય?   
(તા. 06 ઓગસ્ટ, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

No comments:

Post a Comment