Tuesday, 4 November 2014

કોઈ એક ઘટનાથી જિંદગીને બ્રેક મારી દેવાય?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

દરેક વ્યક્તિની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો એવો સમય આવતો જ હોય છે કે, એવું લાગે કે બસ હવે અહીં અંતિમ પોઇન્ટ છે. પોઇન્ટ ઓફ નો રિટર્ન છે. પણ ઘણી વખત આવા જ કોઈ ટર્ન બાદ જિંદગી નવેસરથી શરૂ થતી હોય છે. દિલને દુઃખી કરે કે અસ્તિત્વ હલી જાય એવી ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે આપણને એવું લાગે કે હવે બધું ખતમ થઈ ગયું છે. કોઈ કિનારો નથી દેખાતો. એવું લાગતું હોય છે કે, આ ખરાબ બન્યું એનાથી તો ખરાબ હવે બીજું શું હોઈ શકે?
જરા આ વાતો ઉપર નજર ફેરવીને વિચારી જુઓ કે આવું તમારી સાથે કેટલી વાર બન્યું છે? આવું કંઈ બન્યા પછી કેટલી વખત તમે ધૂળ ખંખેરીને ઊભા થયા છો. કેટકેટલી વાર બમણા જોરથી જિંદગીને આગળ ધપાવી છે. કોઈ દિશા ન સૂઝે ત્યારે પણ જિંદગી જેમ ધપતી હોય તેમ આગળ વધવા દઈને કંઈક સારું થશે એની આશા રાખીને જીવ્યાં હોઈએ છીએ.
આવી જ કંઈક ઘટના કવિતાની જિંદગીમાં બની છે. કવિતા અત્યારે જિંદગીના એવા વળાંક ઉપર બેઠી છે કે ત્યાં એને એવું લાગે છે કે એના જેટલું કોઈ દુઃખી નથી. કવિતા એક વિકસી રહેલા ગામની રહેવાસી છે. સારું એવું ભણી છે પણ એ નથી શહેરની કે નથી ગામડાની એટલે એ નોકરી નથી કરતી. પોતે કેટલી મહેનત કરીને ભણી છે અને હવે એ કંઈ કામ નથી લાગતું એ વાતે એનો સતત જીવ બળતો રહે છે.
થોડા દિવસો પહેલાં જ કવિતાની સગાઈ મા-બાપે પસંદ કરેલા એક યુવાન સાથે થઈ. બહુ રંગેચંગે આ યુગલની સગાઈવિધિ કરવામાં આવી. કવિતાને એમ હતું કે, મેરેજ બાદ પતિ સાથે શહેરમાં રહેવા મળશે તો ભણતર લેખે લાગશે. પોતે કંઈક કમાઈ શકશે અને કંઈક કરીને બતાવશે એવી વાતે એ બહુ રાજી થતી હતી.
પરંતુ સગાઈના થોડા દિવસોમાં જ કવિતાને ખબર પડી ગઈ કે, ભાવિ ભરથારને એનામાં ખાસ કંઈ રસ નથી. બંનેના શોખના વિષયો તેમજ પસંદગી બહુ અલગ અલગ છે. આજની જનરેશનનાં
યુવક-યુવતીઓ જેમ ગાલથી ગાલ ચીપકાવીને સરસ મજાની સેલ્ફી પોતાના પ્રોફાઇલ પિક્ચરમાં રાખે એવું કંઈ પણ આ યુગલ સાથે ન બન્યું. એકબીજાને લાંબા-લાંબા ફોન કોલ્સ કરવાનું પણ એ બંનેને બનતું નહીં. ઊલટું, કવિતા જ્યારે જ્યારે ફોન કરવાની ટ્રાય કરે ત્યારે એ યુવકનો ફોન બિઝી આવે. કવિતા સ્વાભાવિક રીતે પૂછે કે, કોની સાથે વાત ચાલુ હતી તો એ યુવક કદીય સંતોષકારક જવાબ ન આપે.
મા-બાપની મરજીથી સગાઈ થયેલી એટલે કવિતાએ પોતાની શંકા અને વાત મા-બાપને કરી. વાત ગંભીર છે એવું માનીને કવિતાનાં માતા-પિતાએ એ યુવક અને એનાં માતા-પિતા સાથે મિટિંગ ગોઠવી. વાતચીત શરૂ થઈને થોડી જ પળોમાં એ યુવકે કબૂલી લીધું કે, એને કોઈ બીજી વ્યક્તિ ગમે છે. એ આ સગાઈથી ખુશ નથી. વળી, જે સ્ત્રી ગમે છે એ એના કરતાં મોટી છે અને પરણેલી છે.
એ પછી સ્વાભાવિક છે કે, કવિતાનાં માતા-પિતા સગાઈ ફોક કરી નાખે. સગાઈ તૂટયાં પછી કવિતાનો વાંક નહીં હોવા છતાં લોકો એની સામે આંગળી ચીંધતા અચકાતાં નથી. કવિતા આ બધી વાતોથી અને પોતાના સંબંધ તૂટવાના આઘાતથી ભાંગી ગઈ છે. એ કહે છે, મારી તો જિંદગી બરબાર થઈ ગઈ. હવે શું કરવું એ સૂઝતું નથી. કવિતાના કિસ્સામાં તો સૌથી પહેલાં એ વાત સુખદ થઈ કે આ બધી વાતો લગ્ન બાદ બહાર ન આવી. સમયસર બધી ખબર પડી ગઈ અને દિલોમાં વધુ અંતર આવે એ પહેલાં સંબંધ જ તૂટી ગયો. બીજી વાત એ કે, વીસ-પચીસ વર્ષ સુધી તમે મા-બાપને ઘરે એમની ખુશીમાં ખુશ હોવ એ રીતે જીવ્યાં હોય અને અચાનક એક વ્યક્તિ આવીને તમારી જિંદગીમાં વાવાઝોડું લાવી દે તો એની સામે ટકી રહેવાની તાકાત તો તમારે જ કેળવવી પડે. અતિ ખરાબ પણ ક્યારેય અંતિમ હોતું નથી એ વાત કદીય ન ભૂલવી જોઈએ.
(તા. ૦5 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

No comments:

Post a Comment