Wednesday, 15 October 2014

ઘર હોય તો સુખ હોય કે 

સુખ હોય ત્યાં ઘર હોય? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

પ્રેમ એવી લાગણી છે કે ત્યાં બીજું બધું જ સહજ લાગે છે. પોતાની કોઈ એક વ્યક્તિ એવી હોય જેનો સાથ અને જેનો પ્રેમ તમને સલામત હોવાની અનુભૂતિ આપે છે. એ છે તો જાણે માથે છત છે એવી ફીલિંગ સ્નેહ, લાગણી અને પ્રેમ હોય ત્યાં આવી જ જવાની છે. બે વ્યક્તિઓને આવી ફીલિંગ થતી હોય પણ એ બે વ્યક્તિ સાથે જોડાયેલા લોકો આવી કાલ્પનિક વાતો કે અનુભૂતિને મહત્ત્વની ન ગણે ત્યારે શું કરવાનું?
સુરભિ નામની એક વાચકના આવેલા ઈ-મેઇલ પરથી વાત કરવાનું મન થયું. એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી સુરભિને સાથે કામ કરતા યુવક નીરવ સાથે પ્રેમ થયો. બંને એક જ જ્ઞાાતિનાં હતાં. એમ જ સમજતાં રહ્યાં કે ઘરના લોકો ક્યાં ના પાડવાના છે. નીરવના ઘરેથી તો પહેલા જ ધડાકે હા આવી ગઈ, પણ સુરભિના ઘરે જેવી ખબર પડી કે એના ઘરે ધરતીકંપ થયો. સૌથી પહેલાં તો એની મમ્મીએ એની નોકરી જ મુકાવી દીધી. સુરભિનું પ્રમોશન ડયુ હતું અને એની મમ્મીની જિદના કારણે એણે નોકરી મૂકવી પડી. એક પછી એક બંધનો લદાતાં ગયાં. એનો ફોન છીનવી લેવામાં આવ્યો. છ મહિના સુધી એને રેઢી મૂકવા ન દેવાઈ. નીરવને ભૂલી જાય એવા તમામ પ્રયત્નો એના સંયુક્ત પરિવારના વડીલોએ કર્યા. લગભગ આઠેક મહિના સુધી આ સિલસિલો ચાલ્યો. આ બાજુ નીરવથી પણ સુરભિની જુદાઈ સહન નહોતી થતી. દીકરાને આમ હિજરાતો જોઈને નીરવનાં મમ્મી-પપ્પા સુરભિના ઘરે ગયાં. વિનંતી કરી,સમજાવટથી બંનેની સગાઈ માટે કન્વીન્સ કર્યાં. બંનેની સગાઈ થઈ ગઈ. થોડા દિવસો સુધી આવવા-જવાનું રહ્યું. ચારેક મહિના થયા એટલે નીરવનાં મા-બાપ લગ્નની વાત લઈને ગયાં. સુરભિની મમ્મીએ ચોખ્ખું સુણાવી દીધું કે, તમારા દીકરાનો પગાર પચીસ હજાર રૂપિયા છે. પોતાનું ઘરનું ઘર નથી. એ શું મારી દીકરીને સુખી કરવાનો? પહેલાં એનું ઘરનું ઘર બંધાય પછી જ હું મારી દીકરીનાં લગ્ન એની સાથે કરાવીશ. બાકી વાત પડતી મૂકો.
લગ્નની વાતમાં ઘરનું ઘર અને સુખની વાતો કરતી સુરભિની મમ્મી એટલી જિદે ચડી ગઈ કે, ફરી સુરભિ સાથે બંધનો લાદી દેવાયાં. સુરભિ લખે છે, એક દિવસ મમ્મી માની જશે એ રાહમાં મેં બીજા બે મહિના કાઢી નાખ્યા. હાલત એ હતી કે હવે મારે પણ નીરવ સાથે જિંદગી જીવવી હતી. આથી એક દિવસ અનેક પાબંદીઓને તોડીને હું પહેરેલાં કપડે ચાલી નીકળી. નીરવના ઘરે ગઈ. એ હકીકત જાણીને મને ફરીથી મૂકવા આવ્યો, તો મારી મમ્મીએ અમને બંનેને કાઢી મૂક્યાં. બસ, એક જ વાત કે ઓછો પગાર અને ઘરનું ઘર નથી એટલે મારી દીકરીના સુખની કોઈ ગેરંટી નથી. પછી આ યુગલે સાદાઈથી નીરવના પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધાં, પણ સુરભિનું મન મમ્મીની જિદના સવાલો કરતું રહે છે. પોતાને જસ્ટિફાય કરવા કોશિશ કરે છે કે, એણે કંઈ ખોટું તો નથી કર્યું ને?
સુરભિનાં મમ્મીને એટલું જ કહેવાનું મન થાય છે કે, બંગલા અને ગાડી હશે તોપણ સુખની કોઈ ગેરંટી છે ખરી? પોતે જેને પ્રેમ કરતા હોય એ વ્યક્તિનો સાથ ન હોય ત્યારે એ ઘર પણ ઈંટ રેતીની નિર્જીવ દીવાલોથી વધુ કંઈ નથી હોતું. એ ઘર ત્યારે જ ધબકતું લાગે છે જ્યારે દિલમાં વસેલો ધબકાર આપણી સાથે હોય.
આજના યુગમાં નવી પેઢી એકદમ સડસડાટ આગળ વધી રહી છે. આજે પચીસ હજાર પગાર હોય એનો બે વર્ષમાં ડબલ પગાર પણ થઈ જાય. સંજોગો અને કરિયર ક્યારે કરવટ બદલે એની કોઈને ખબર નથી હોતી. વર્તમાન પરિસ્થિતિ જ કાયમ રહેશે એવું માનીને સગી દીકરીની ખુશી ન દેખાય એ પણ યોગ્ય નથી.
સુરભિને પણ એટલું જ લખવાનું થાય છે કે, જે સમયે દિલ અને દિમાગ બંનેએ એક જ તરફ જવાની દિશા બતાવી હોય પછી એ દિશામાં વાવાઝોડું હોય, વંટોળ હોય કે પછી સ્વર્ગની અનુભૂતિ થાય એવું સુખ હોય. જે હોય તેને જીવી લેવાનું અને જે મળે એને વધાવી લેવાનું. ઈંટોની દીવાલો ઓટોમેટિક ઘર બની જ જશે.
(તા. 15 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

No comments:

Post a Comment