Wednesday, 8 October 2014

સ્વતંત્રતામાં વધુ મજા છે કે 

બંધનો તોડવામાં વધારે રોમાંચ? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

કોને કેટલી સ્વતંત્રતા મળવી જોઈએ? એ કોણ નક્કી કરે? સર્વમાન્ય એવો એક જવાબ છે કે, પરિવારનો મોભી જે તે સ્વતંત્રતાની મર્યાદા નક્કી કરે. વળી, છૂટ આપવાની વાત આવે ત્યારે આપણે સ્વતંત્રતા પણ કેવી આપીએ છીએ?
દીકરીને એની બહેનપણીની બર્થ ડે પાર્ટીમાં જવા દઈએ પણ સમયની મર્યાદા બાંધીને! સામી બાજુ દીકરાને અપાતી છૂટછાટના નિયમો જુદા. અલબત્ત, દીકરા-દીકરીના કુદરતે મૂકેલા ફરકને ધ્યાને લઈને આ બંધનો નક્કી થતાં હોય છે. દીકરા-દીકરીને છૂટછાટ કે બંધનોમાં રાખતા ભેદભાવની વાત નથી કરવી. વાત કરવી છે,સ્વતંત્રતામાં વધુ મજા આવે કે બંધનો તોડવાનો રોમાંચ વધુ હોય?બંનેની અનુભૂતિ અલગ અલગ છે. સ્વત્રંતામાં મળેલું ખુલ્લું આકાશ છે જ્યારે બંધન તોડવામાં ખુલ્લું આકાશ પણ આપણે આપણી રીતે કેળવવાનું છે અને એમાં પાંખો ફેલાવીને પોતાની રીતે અંતર કાપવાનું હોય છે. ઉડાન ભરવાથી માંડીને પવન કાપવાનો આનંદ-રોમાંચ તમે પોતે અચીવ કરેલો હોય છે. સ્વાભાવિક છે એનો રોમાંચ કે આનંદ વધુ હોવાનો, પરંતુ બંધનો તોડવાનું રિસ્કી પણ એટલું જ છે. બંધનો તોડવાની કિંમત પણ ઘણી વખત ચૂકવવી પડે છે. એ કિંમત આકરી અને અઘરી પડે ત્યારે બંધનોનાં કોચલામાં પુરાઈ રહેવાનું લોકો પસંદ કરે છે. સરવાળે કોઈની સ્વતંત્રતાને જોઈને જીવ બાળવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.
સામાન્ય રીતે બંધનોમાં કંઈક ખૂટે છે એ નથી મળતું એવો ભાવ સતત મનમાં ઘૂમ્યે રાખતો હોય છે. દુનિયાની નજરે એ સંપૂર્ણ હોવાં છતાં અનેક બંધનો વચ્ચેની એ સંપૂર્ણ પણ અપૂર્ણ અને અધૂરી હોય એવું લાગે છે.
પરિવારમાં મોડે સુધી ફરવા ન મળતું હોય, મેકઅપ કરવા ન મળે, મોડે સુધી ફરવા દેવામાં ન આવે, વેસ્ટર્ન કપડાં ન પહેરવા દેવામાં આવે, સ્લીવલેસ ન પહેરવા દેવામાં આવે કે પછી ગમતી નોકરી ન કરવા દેવામાં આવે તો જે નથી મળ્યું એ જ હંમેશાં મોટું રહેવાનું. એની સામે ગમે તેટલું મળ્યું હોય તોપણ નથી મળ્યું એ વધુ મહત્ત્વનું બની રહે છે.
મોડે સુધી પાર્ટી ન કરવા દેવામાં આવે, ગમતી એવી મોંઘી બાઇક ન મળે, પોકેટમની ફિક્સ હોય, અમુક લાઇફસ્ટાઇલ કેળવવાની ફરજ પાડવામાં આવે, મનનું ધાર્યું કહેવાની કે કરવાની છૂટ ન મળે, પરિવારનાં કે બીજાં મિત્રોનાં બાળકો સાથે સતત થતી સરખામણી હોય કે પછી કોઈ પણ બાબતનું બંધન હોય એ બંધન હંમેશાં ખટકતું જ રહેવાનું છે. જ્યાં બંધન છે ત્યાં એનો તૂટવાનો ભય રહેવાનો જ છે. બધાં જ લોકો બધાં બંધનો સ્વીકારીને નથી જીવી શકતાં હોતાં.
એક પરિવારની વાત છે. એ સંયુક્ત પરિવારની વહુઓને સસરા-જેઠ હોય ત્યારે માથે ઓઢવાનું. તેમની સાથે બહુ વાતચીત ન થઈ શકે એવો નિયમ. સૌથી મોટી વહુને માત્ર સસરાનું ઓઢવું પડે, પણ એનાથી નાના ભાઈની બંને વહુઓને વધુ મર્યાદામાં રહેવું પડે. સૌથી નાની વહુને આ બહુ ખટકે. પોતે ભણેલી છે અને પૈસાદાર પરિવારની વધુ છૂટછાટમાં ઉછરેલી દીકરી છે એ વાત એના મગજમાંથી નીકળે નહીં. પરિવારના વડીલો ઘરમાં હોય પણ આસપાસમાં ન હોય તો એ ફટ કરતું માથે ઓઢેલું ઉતારી દે. આ વાત એના સસરાને ખબર હતી. એ હંમેશાં સૌથી મોટા પૌત્રને એવું કહેવા મોકલે કે, નાની વહુને કહો માથે ખીલો ખોડી દે. કહેવાની વાત એ છે કે, મન વગરનું બંધન પણ કંઈ અસર કરતું નથી. મનથી મર્યાદા જળવાય તો જ એની ગરિમા છે. જે બંધનમાંથી મુક્ત થવા માટે મન સતત છટપટતું હોય એ બંધન અસ્તિત્વને રૃંધી નાખે છે. સ્વતંત્રતાનો દુરુપયોગ થાય તો એની ગરિમા હણાઈ જાય છે. સંબંધોમાં મળતી આઝાદીને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવામાં આવે તો કદાચ એ કોઈ અણગમતી હકીકતમાં પલટાઈ જતાં તેને વાર નથી લાગતી. સાચી વાત તો એ છે કે, સ્વતંત્રતા અને બંધન હૈયેથી સમજાવા જોઈએ. કોઈના કહેવાથી આ બંને શબ્દોના મર્મને પચાવી શકીએ એ વાતમાં દમ નથી. અંતે તો વ્યક્તિગત સમજદારી જ મહત્ત્વની રહે છે.
(તા. 08 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

No comments:

Post a Comment