Tuesday, 23 September 2014

એકથી વધુ ઓપ્શન હોય ત્યારે... 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

સામાન્ય રીતે જિવાતી જિંદગીમાં સવાલો ઘણાં બધાં હોય છે. કેટલીય વખત તો એક સવાલના અનેક જવાબ હોય છે તો કોઈ વાર અનેક સવાલનો એક પણ જવાબ નથી મળતો હોતો. જિંદગી દરેક વખતે એકથી વધુ ઓપ્શન આપતી નથી. તેમ છતાંય એક નિર્ણય લેવાનો હોય ત્યારે આપણી સામે બે ઓપ્શન હોય તો શું કરવું? આવો સવાલ કિંજલ નામની વાચકે ઈ-મેઇલથી કર્યો છે.

નિર્ણય લેવાનો હોય ત્યારે આપણું અસ્તિત્વ બે રીતે લડતું રહે છે. દિલ અને દિમાગ વચ્ચેની આ લડાઈ હોય છે. છેવટે તો આપણી જાત સાથે સહજ રીતે જે જોડાયેલું હોય એની મહોર જ નિર્ણય બની રહે છે. બેઝિકલી તો જે નિર્ણય લેવાથી પોતાને સંતોષ થતો હોય એ નિર્ણય લેવાતો હોય છે.

બચપણમાં કોઈ રમકડાં માટે જીદ કરતા હોઈએ ત્યારે મા-બાપનો નિર્ણય આપણી માથે હાવી હોય છે. લગભગ દરેક બાળકે જિંદગીમાં કેટલીય વાર પોતે સાચાં છે એ મનાવવા માટે મમ્મીનું એન્ડોર્સમેન્ટ લીધું જ હશે. બચપણમાં જે બહુ સહજ લાગતું હોય છે એ જિંદગીમાં મોટા સવાલો બનીને સામે આવે છે ત્યારે માણસ અસમંજસમાં મુકાઈ જાય છે. ભણતી વખતે ટયુશન ક્લાસ કયા રાખવા કે કઈ લાઇન લેવી આવા બે નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે છે તો એનાથી આગળ કયા કોર્સમાં આગળ ભણવા જવું કે પછી બહારગામ ભણવા જવું કે નહીં એ નિર્ણય લેવો પણ અઘરો થઈ પડે છે. કેટલાંય કિસ્સાઓમાં તો મા-બાપ ખુદ નક્કી ન કરી શકે ત્યારે પરિવારના વડીલ કે પછી હિતેચ્છુની સલાહ લે છે. એમાંય વળી અનેક લોકોને પૂછયાં પછી એક ટકાવારી કાઢે કે કઈ તરફ બધાનો જવાબ કે સલાહ જઈ રહી છે એ રીતે આગળ વધીએ.

ઘણી વખત તો એકથી વધુ ઓપ્શન હોય ત્યારે કોઈ માણસ એમાં ભેરવાઈ પણ જતો હોય છે. તો વળી કોઈ અજાણ્યો ઓપ્શન પસંદ થઈ જાય તો કોઈ વ્યક્તિની ખૂબી ખીલીને બહાર નીકળે છે. નિર્ણય લીધા પછી પણ કંઈક અણગમતું બને ત્યારે આપણે મનને ટપારતાં હોઈએ છીએ કે, આમ કર્યું હોત તો સારું થાત, આવું તો ન જ થાત.

સાચી વાત એ છે કે, આમ કર્યું હોત તો તેમ થાત કે આમ થયું હોત તો તેમ કરત એ વાત કે વિચાર જ અસ્થાને છે. જે સમયે જેટલી સમજદારી હતી એ સમયે એવો નિર્ણય લેવાયો. એ વાતનો પછી ન તો કોઈ અફસોસ કરવો જોઈએ કે ન તેનો કોઈ વસવસો રહેવો જોઈએ. ગળે ન ઊતરે એવો નિર્ણય લીધા પછી કંઈ અફસોસજનક બને એટલે આપણે એ પરિસ્થિતિને સંભાળવાના બદલે એમાંને એમાં ગૂંચવાડા પેદા કરી દેતાં હોઈએ છીએ.

ભણી લીધા બાદ નોકરી માટે અને એ પછી જીવનસાથી માટે પણ આપણે આપણી જાતને એટલી ગૂંચવી દઈએ છીએ કે, જેની સાથે આજીવન રહેવાના કોલ આપ્યા હોય એની સાથેનું જીવન અકારું લાગવા માંડે છે. પોતાની પસંદગીનું લગ્ન કરીને પસ્તાનારા લોકોની ક્યાં કમી છે. જમીન પર રહીને જીવન જીવતાં લોકો માટે કોઈ સવાલ નથી હોતો પણ દિવસેય સપનાંમાં રાચતાં લોકોને પોતાની પસંદગીનાં લગ્નમાંથી પણ લાંબે ગાળે રસ ઊડી જતાં વાર નથી લાગતી.

હકીકત એ હોય છે કે, આપણે ભૂતકાળને વાગોળતાં રહીએ છીએ અને ભવિષ્યની સતત ચિંતા કરતાં રહીએ છીએ. દિલ-દિમાગમાં અનેક સવાલોને આ બંને કાળમાંથી બહાર કાઢતાં જ નથી. મન-મગજ બંને આ વિચારોમાં અટવાયેલું રહે તો પછી એ આજને કેવી રીતે માણવાની?

એકથી વધુ પસંદગી હોય ત્યારે તમારા વર્તમાનમાં, તમારા અસ્તિત્વ સાથે જોડાયેલી સમજ જેમ દોરે એમ જાતને દોરવી જોઈએ. કોઈના કહેવા પ્રમાણે નિર્ણય લેવાથી જિંદગી એ વ્યક્તિ નથી જીવવાની. જિંદગી તમારી છે અને તમારે જ જીવવાની છે. તો પછી તમારા ઓપ્શન ઉપર કોઈની સમજને શા માટે હાવી થવા દેવી જોઈએ? મન અટવાય ત્યારે કોઈ અંગત કે પોતાનું હોય એની પાસે હળવું ચોક્કસ થવાય પણ આખરે તો તમારી સમજશક્તિ જ તમારા અસ્તિત્વને ટકાવશે એના અવાજને જરાય અવગણવો નહીં.

(તા. 10 સપ્ટેમ્બર, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

jyotiu@gmail.com

No comments:

Post a Comment