પોતાના વર્તન વિશેની સભાનતા
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
જે માણસ મુક્ત મને હસતો ન હોય એનો કદી ભરોસો ન કરવો, આવું આપણે ઘણાં લોકોનાં મોઢે સાંભળ્યું છે. કોઈ વ્યક્તિનું વર્તન તમારી સાથે કેવું છે એના ઉપરથી આપણે એના વિશે કોઈ સારી કે ખરાબ ધારણા બાંધી લેતા હોઈએ છીએ.
વ્યક્તિના વર્તન વિશે વાત કરવાનું મન એટલા માટે થયું કે એક યુવાન વયના કેતુલનો ઈ-મેલ આવ્યો છે. નવીસવી નોકરીએ ચડેલો કેતુલ એમબીએ થઈને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયો. પહેલી નોકરી અને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પસંદગી થવી એ કેતુલ માટે કોઈ નાનીસૂની વાત ન હતી. બહુ જ સારી કોલેજમાંથી એણે ભણવાનું પૂરું કર્યું. એમબીએ પૂરું કર્યા પછી જો એક દિવસ પણ ઘરે બેઠા રહ્યાને તો તમારી ડિગ્રીને ભૂલી જજો, આવી ટકોર કરનાર પ્રોફેસરની વાત કેતુલને બરાબર યાદ હતી. એટલે જ એને લાગતું હતું કે એ બરાબર રસ્તા ઉપર કદમ માંડી રહ્યો છે.
પોતાની કોલેજની વાત પૂરી કરીને કેતુલ એની નોકરીની વાત ઉપર આવ્યો. એ લખે છે, હું જ્યાં કામ કરું છું ત્યાં ઓછામાં ઓછો બસ્સો લોકો બેસે છે. એક બહુ જ મોટી ઓફિસમાં બધાં પોતપોતાના કમ્પ્યૂટર અને ફોન સાથે બેઠા હોય છે. સિનિયર-જુનિયર બધા સાથે જ બેસે. મોટા સાહેબો પોતપોતાની ચેમ્બરમાં બેસે છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોનું ગ્રૂપ એકસાથે હોય પણ બધાએ બેસવાનું એક બહુ મોટા ઓપન એરિયામાં.
પહેલે જ દિવસે એક વિભાગના સિનિયર હોદ્દાના બે માણસો વચ્ચે ઝઘડો થયો. થોડી વારમાં જ ઉગ્ર બનેલું વાતાવરણ શાંત થઈ ગયું. હજુ કેતુલને ઓફિસ જોઇન કરી એને માંડ મહિનો થયો છે. એમાં લગભગ પંદર વખત કોઈ બે વ્યક્તિઓ બાખડી પડે અને ઓફિસમાં ઊંચા અવાજે વાતો થવા માંડે. શરૂઆતમાં તો એ બધા સામે જોયે રાખતો, પણ જેમ-જેમ આદત પડતી ગઈ તેમ-તેમ એણે રસ લેવાનું ઓછું કરી દીધું. પોતાને કંઈ લાગતું વળગતું ન હોય એવા ઝઘડામાં શા માટે રસ જતાવવો એમ માનીને એ કામે વળગી જાય.
એણે એક જ સવાલ કર્યો છે. જાહેરમાં બે વ્યક્તિઓ કામની બાબતે ઝઘડી કેવી રીતે શકે?
આજે ઘરની બહાર નીકળીને કામ કરવા જનારાઓની સંખ્યા વધી ગઈ છે. ઘરમાં પરિવારજનોનું પ્રેશર હોય. મહિનો પૂરો કરવામાં બે છેડા માંડમાંડ ભેગા થતાં હોય, ઓફિસમાં બોસને સારું લગાડવાના ટાર્ગેટ પૂરા કરવાના હોય. આ અને આવાં કેટલાંય ટેન્શન્સ વચ્ચેથી માણસ પસાર થતો હોય છે. સરવાળે એને અનેક પ્રેશર્સ વચ્ચે જીવવાની ફરજ પડતી હોય છે. સતત દબાણ વચ્ચે જીવતો આ માણસ રિલેક્સ થાય તોપણ કેવી રીતે? આથી કોઈ નબળી પળે એની ધીરજનો બંધ તૂટી જતો હશે અને એ ગુસ્સે થઈને બરાડવા માંડતો હશે.
આ તો થઈ સામાન્ય રીતે આપણી સમજમાં આવતી વાત, પણ બસ્સો-અઢીસો માણસોની હાજરીમાં થતા તમાશાનો પણ કોઈને વિચાર નહીં આવતો હોય? સાચી વાત તો એ છે કે, જાહેરમાં તમે ટેન્શનની પળે કેવું વર્તો છો એના ઉપરથી તમારું વ્યક્તિત્વ મપાતું હોય છે. બ્લાસ્ટ થવાનું હોય એવી પરિસ્થિતિમાં પણ કુનેહપૂર્વક કોઈ રસ્તો કાઢે ત્યારે આપણને એ વ્યક્તિને સન્માન આપવાનું મન થાય. એની સામે બરાડા પાડતા બોસ પ્રત્યે કદીય પ્રેમ નથી થવાનો.
પોતાનો અવાજ ઊંચો કરીને પોતાની ખોટી વાત સાચી કરવાની ઘણા બધા લોકોને આદત હોય છે. રાડો પાડીને કે પોતે સિનિયર એટલે પોતાની વાત જ સાચી એવું જતાવતી વ્યક્તિ પ્રત્યે એની ટીમને કદીય આદર ન થાય.
જાહેરમાં તમારું સારું કે ખરાબ વર્તન તમારી કેળવણી અને સંસ્કારોને રિફ્લેક્ટ કરે છે. કોઈનું અણછાજતું વર્તન જોઈને આપણને એક વખત તો એવો વિચાર આવી જ જાય કે, આનાં મા-બાપે આને જ શીખવ્યું છે. અભ્યાસ દરમિયાન આ વ્યક્તિ આટલું જ શીખ્યો? સાચી વાત એ છે કે, વ્યક્તિની પરખ એના ગુસ્સા કે નબળી પરિસ્થિતિમાં જ નહીં એની આસપાસ જીવતા લોકો સાથે એ કેવું વર્તે છે એના ઉપરથી પણ થતી હોય છે.
તમને નથી લાગતું આપણે સૌએ પોતપોતાના વર્તન ઉપર નજર રાખવી જોઈએ?
(તા. 13 ઓગસ્ટ, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)
jyotiu@gmail.com

No comments:
Post a Comment