Tuesday, 23 December 2014

મનના કચરાની ડસ્ટબિન હોય?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
ઘરમાં કોઈ પણ નકામી વસ્તુને 
આપણે સીધી કચરાટોપલીમાં પધરાવીએ છીએ. 
શું મનમાં રહેલો કચરો ક્યાંય ઠાલવી શકાય ખરો?
ઓફિસમાં કે ઘરમાં એક પણ નકામી ચીજ હોય કે ફેંકી દેવાની વસ્તુ હોય તો આપણે તરત જ એને કચરાટોપલીમાં નાખી દઈએ છીએ. અરે! આપણે તો વર્ષેદહાડે દિવાળીનું કામ કરીએ ત્યારે પણ નકામી વસ્તુઓનો ખડકલો કરીએ છીએ. ભંગારવાળાને આપીને એ કચરામાંથી પણ કમાણી કરીએ છીએ. સવાલ એ છે કે, મનના નકામા વિચારો, નેગેટિવ લાગણીને બહાર ફેંકીને એમાંથી કંઈ શીખવાની કમાણી કરીએ છીએ ખરા?
આખા વર્ષ દરમિયાન કેટલી બધી ચીજો આપણે ઘરભેગી કરીએ છીએ. નવું ઘર લીધું હોય ત્યારે એ ઘરમાં ફક્ત ચાર દીવાલો અને છત હોય છે. એમાં આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ચીજો ખરીદીએ છીએ. આ ખરીદીમાં ક્યારે નકામી ચીજો ઘરમાં આવી જાય છે એનો આપણને અંદાજ જ નથી રહેતો. એક વખત ઘરમાં ઘૂસી ગયેલી ચીજ પછી આપણા હાથમાં અકસ્માતે આવી જાય ત્યારે આપણને ખબર પડે છે કે, આ ચીજ તો સાવ નકામી લેવાઈ ગઈ. આવું જ કંઈક મનનું છે. દિલમાં અને દિમાગમાં આપણે જાણે-અજાણે એટલી નકામી વાતો, વિચારોને ભંડારી રાખીએ છીએ કે પછી એમાં કોઈ સારી વાતને અવકાશ નથી રહેતો. કોઈ પોઝિટિવ વાત મનને સ્પર્શતી જ નથી હોતી.
એક બિઝનેસ વુમન રાધિકાની વાત કરીએ. એક સાવ સીધી સાદી હોમમેકરમાંથી રાધિકાએ ઘરઘરાઉ કામ શરૂ કર્યું. આજે એની કંપનીનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. હેન્ડી ક્રાફ્ટની વસ્તુઓ બનાવીને પહેલાં એણે નજીકના લોકોને ભેટ આપી અને ધીમે ધીમે એમાંથી આગળ વધીને દેશ-વિદેશ સુધી એની કળા વિસ્તરી ગઈ.
ઘરની સજાવટની વસ્તુઓથી માંડીને અનેક કળાત્મક વસ્તુઓ એની કંપની બનાવે છે. રાધિકા કહે છે, રોજ મારી ફેક્ટરીમાં જે વસ્તુઓ બને છે એનો સ્ક્રેપ પણ નીકળે છે. એ નકામી વણવપરાયેલી વસ્તુઓ ઘણી વખત મારે ત્યાં કામ કરતી બહેનો પોતાના ઘરે લઈ જાય છે. એમાંથી એ કંઈક જુદું બનાવે છે અથવા તો નકામા લાકડાના ટુકડા અને ચીજોને કોઈક વાર બળતણ તરીકે પણ વાપરે છે. રોજેરોજ બનતી વસ્તુઓનો કચરો પણ રોજેરોજ ફેક્ટરીમાંથી નીકળી જાય છે. એક પણ નકામી ચીજ અમારી કામ કરવાની જગ્યાએ જોવા નથી મળતી.
રાધિકા કહે છે, એક દિવસ મારે ત્યાં સાવ જુનિયર કક્ષાની યુવતી એ કચરો બહુ ચીવટથી વીણતી હતી. એ વણવપરાયેલા ટુકડાઓમાંથી પણ એ નકામા ટુકડાનો એક અલગ ઢગલો કરતી હતી. પોતાને કામ લાગે એવા ટુકડાઓને એ થેલીમાં ભરતી હતી. એ યુવતીની બાજુમાંથી હું પસાર થઈ. મારે ત્યાં કામ કરતા દરેક લોકોને હું નામથી બોલાવું અને નામથી ઓળખું. એ યુવતીને જોઈને હું થોડી વાર ઊભી રહી. કચરો અલગ તારવતી વખતે એ એવું બોલી કે, મેડમ આ ટુકડાઓની જેમ જ આપણે આપણાં મનના કચરાને પણ આમ બહાર ઠાલવી શકતા હોય તો કેવું સારું.
આ વાત બહુ સહજતાથી બોલાઈ હતી, પણ રાધિકાને એ સ્પર્શી ગઈ. એ કહે છે કે, વાતવાતમાં કેટલી સાચી વાત કહી દીધી એ યુવતીએ. આપણે રોજ નવી સવાર પડે છે ત્યારે ફ્રેશ થઈએ છીએ. નાહીને ચોખ્ખા થઈએ છીએ, પણ મનની ચોખ્ખાઈ માટે આપણે કંઈ નથી કરતા. ઘરમાં રોજ ઝાડુ કાઢીને કચરાને વાળી લઈએ છીએ, પણ મનની સાવરણી કે મનના કચરાની કચરાટોપલી સામે ભાગ્યે જ જોઈએ છીએ. એવાં કેટલાંય લોકોનાં ઘરોને આપણે જોયાં હશે જેમાં ચોખ્ખાઈ તો બહુ જોવા મળે, પણ એ માણસ ઘણી વખત આપણને વ્યક્તિગત રીતે સ્પર્શતો નથી હોતો. એનું એક જ કારણ હોય છે એ વ્યક્તિના મનની ચોખ્ખાઈ. ઘણા બધા માણસો પણ એવા હોય છે જે દેખાવમાં રૂડાં-રૂપાળાં હોય. એમને જોઈએ ત્યારે તો આપણને એમ થાય કે એ બહુ ઉમદા વ્યક્તિત્વ હશે, પણ જેમ જેમ એને જાણીએ તેમ તેમ એના મનને આપણે ઓળખતા થઈએ છીએ. સાચી ઓળખ તો જે તે વ્યક્તિના મનની જ હોય છે. જેનું મન સ્પર્શે એની સાથેનો સંબંધ જ સાચો સંબંધ હોય છે. ઘરની કે તનની ચોખ્ખાઈની સાથોસાથ મનના કચરાની સફાઈ પણ એટલી જ મહત્ત્વની છે. બાય ધ વે, આ વાંચીને મનની સફાઈ વિશે કંઈ પોઝિટિવ વિચાર આવે તો તરત જ વધાવી લેવો, કેમ કે સાચા માણસની ઓળખ તો એના દિલ કે મનથી જ થઈ આવે છે.
(તા. 24 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ) 

Tuesday, 16 December 2014

પોતાનાં સંતાનોથી અલગ થવાની 

ચિંતા અને પીડા

   એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
પોતાના અસ્તિત્વ સાથે સંતાનો 
વણાયેલાં હોવા છતાં એમનાથી છૂટાં પડવાની 
પીડા અને ખાલીપો તમને સતાવે છે?
સામાન્ય રીતે જિવાતી જિંદગીમાં દરેક યુગલની પ્રાયોરિટીમાં એનો પરિવાર આવે છે. પરિવારમાં માતા-પિતા અને પોતાનાં સંતાનો સૌથી પહેલા ક્રમે આવે. પેઢી દર પેઢીથી મોટાભાગે આપણાં સૌની લાઇફસ્ટાઇલ એવી રહી છે કે, સંતાનોને ખાતર બધું કરી છૂટવું. પોતાના અસ્તિત્વની સાથે જેને ઉદરમાં અનુભવ્યું હોય એની નાનામાં નાની તકલીફ પણ આપણને વિચલિત કરી દેવા માટે પૂરતી હોય છે. દરેક માતા બનનારી સ્ત્રી માટે તો ઘણી વખત પોતાનું સંતાન જ સર્વસ્વ હોય છે. ત્યાં સુધી કે, પતિ પણ એની બીજી પ્રાયોરિટી બની જાય છે. આ વર્તનમાં મોટાભાગે કોઈને કંઈ ખોટું પણ નથી લાગતું. ભારતીય પરંપરા આ રીતે જ ચાલી આવી છે. આ પરંપરા ખોટી છે કે બદલવી જોઈએ એવું કહેવાનો કોઈ મતલબ નથી પણ સરવાળે સંતાનો સાથે જોડી દીધેલીં જિંદગી થોડાં વર્ષો પછી એટલી ઝડપથી એકલવાયી બની જાય છે કે એક ખાલીપો મનને ઘેરી વળે છે.
એક પરિવારમાં થોડા સમય પહેલાં જ બનેલો કિસ્સો છે. એ પરિવારમાં બે દીકરીઓ છે. હોમમેકર મમ્મી, બહુ જ બિઝી એવા ડોક્ટર પપ્પા અને એમની બંને દીકરીઓનો એકદમ સુખી પરિવાર છે. થોડા દિવસો પહેલાં ખબર પડી કે પૈસેટકે સુખી એવું આ યુગલ મસ્ત મજાનો બંગલો છોડીને નાનકડાં ફ્લેટમાં રહેવા ચાલ્યું ગયું છે.
વ્યવસાયે ડોક્ટર એવા એ ભાઈનું નામ મહેશભાઈ અને એકદમ પોઝિટિવ વિચારો ધરાવતાં એમનાં પત્નીનું નામ શોભાબહેન. એ યુગલના ઘરનો માળો જોઈને કોઈને પણ ઈર્ષા થઈ આવે કે જો આદર્શ પરિવારની વ્યાખ્યા હોય તો એ આ જ પરિવારને ફિટ બેસે. ભણવામાં હોશિયાર અને કહ્યાગરી એવી બંને દીકરીઓ. પોતપોતાની રીતે કરિયર સેટ કરીને એકે મા-બાપની પસંદગીના યુવક સાથે લગ્ન કર્યાં તો બીજીએ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કર્યાં. ડોક્ટર પિતાની આવક એટલી બધી હતી કે, બંને દીકરીઓને કંઈ અપાવવામાં કે કરિયાવર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. બંને દીકરીઓ પોતપોતાના સાસરે જતી રહી. એક મુંબઈ સાસરે છે તો એક બેંગલુરુ. બંનેે દીકરીઓ સાથે દિવસમાં બે-ત્રણ વખત વાત કરી મા-બાપ સંતોષ મેળવી લે છે. પોતાની નવી જિંદગીમાં બંને દીકરીઓ બિઝી થતી ગઈ તેમ દિવસના બે-ચાર ફોનની ફ્રિકવન્સી ઘટતી ગઈ.
દીકરીઓ સાસરે ગઈ એની સૌથી મોટી અસર આવી શોભાબહેન ઉપર. દીકરીઓનાં શેડયુલ સાચવવાં, એમને વાંચવા-લખવા માટે ઉઠાડવી, જમવાની સંભાળ લેવી કે પછી એની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરવી એ જ એમની જિંદગી હતી. અચાનક જાણે નવરાશ આવી ગઈ હોય એવું એમને લાગે છે.
મહેશભાઈનો દિવસ તો પેશન્ટ્સ અને હોસ્પિટલની દોડધામમાં પસાર થઈ જાય છે પણ રાત પડે ઘરે આવવાનું થાય તો એમને દીકરીઓની યાદ સતાવી જાય છે. ઘરે જવાના આકર્ષણમાં જાણે કંઈક ખૂટતું હોય એવું એમને લાગે છે. એમને જીવ જેવી વહાલી દીકરીઓની યાદ સતાવે રાખે છે. આ યુગલ દીકરીઓને કંઈ વર્તાવા નથી દેતું પણ એક ખાલીપાની પીડા તેમને કોરી ખાય છે. મહેશભાઈ કહે છે, દીકરીઓનો જન્મ થયો ત્યારથી ખબર હતી જ કે એ એક દિવસ તો સાસરે ચાલી જ જવાની છે. પણ એ બંને ચાલી જશે પછી એમના વગર સોરવશે નહીં એ હકીકતની ગંભીરતા અમને એ બંનેના ગયા પછી ખબર પડી. રોજ રાત પડે અમે પતિ-પત્ની એકબીજાંની વાતો કરવાને બદલે બંને દીકરીઓની જ વાતો કરતાં. હવે અમારા બંને વચ્ચે મૌન પડઘાતું હોય છે. બંનેને એકબીજાં પ્રત્યે કોઈ એવી ફરિયાદો નથી. પણ બંને સમદુઃખિયા હોવાની ફીલિંગ અનુભવીએ છીએ.
શોભાબહેન કહે છે, ઘરની એક એક ઈંટમાં બંને દીકરીઓનો ધબકાર રહેલો છે. મારો તો જીવ જ મારી દીકરીઓ છે. એ બંને સાસરે ચાલી ગઈ છે તો જાણે એમની મા હોવા છતાં હું અનાથ થઈ ગઈ હોય એવું ફિલ કરું છું. બંને દીકરીઓ એક એક વર્ષના ગાળે સાસરે ગઈ છે. હજુ નાનકડી દીકરીને વળાવી એને વર્ષ માંડ થયું છે છતાં અમે અમારા બંનેના રૂટિનમાં ગોઠવાઈ નથી રહ્યાં.
દીકરીઓ વગરના ખાલીપાને ઝીરવવો અઘરો છે એવું બંનેને લાગ્યું એટલે મોટો બંગલો મેનેજ નથી થતો એવું દીકરીઓને કહીને આ યુગલ નાનકડાં ફ્લેટમાં રહેવા ચાલી ગયું છે. નવો માહોલ, નવા પડોશીઓ સાથે જિંદગીનો તાલ મેળવવાનું શરૂ કરી દીધું છે. શોભાબહેન ઘરે યોગાના ક્લાસીસ કરે છે અને મહેશભાઈએ પોતાની જાતને વધુ બિઝી કરી દીધી છે.
પોતાના લોકોની હયાતી હોવા છતાં, તેમની સાથે સારા સંબંધો હોવા છતાંય અસ્તિત્વને એક ખાલીપો ઘેરી વળે ત્યારે જીવ ઠેકાણે ન હોય તો પણ જાતને કોઈ પ્રવૃત્તિમાં ડુબાડી દેવી એ જ સાચો ઉકેલ છે.
(તા. 17 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ) 
 

Tuesday, 9 December 2014

ચિંતા અને તકેદારી 

વચ્ચેનો ભેદ માલૂમ છે?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
'ચેતતો નર સદા સુખી' 
એ કહેવત ઘણી વખત સાચી પડે છે,
પરંતુ સાવચેતી અને ચિંતા 
વચ્ચેનો ભેદ ન પારખી શકાય ત્યારે શું?
પોતાના લોકોની દરેક વ્યક્તિને ચિંતા સતાવતી હોય છે. એમાંય પોતાનું સંતાન હોય એની ચિંતા તો આપણે જીવીએ ત્યાં સુધી આપણને થતી રહે છે. બાળક જન્મે ત્યારથી માંડીને એનો ઉછેર,ભણતર, ગણતર, કરિયર, લગ્ન માટે યોગ્ય પાત્ર મળી જાય તો એનું લગ્નજીવન સુખી થશે કે કેમ, આ અને આવી કેટલી બધી ચિંતાઓ દરેક મા-બાપ એની હયાતી દરમિયાન અનુભવતાં હોય છે. ચિંતા થવી સ્વાભાવિક વાત છે, પરંતુ જે વાત પોતાના હાથમાં ન હોય એની નાહક ચિંતા કરવાનો કોઈ મતલબ ખરો?
વાત છે એક મિત્ર અને એની પત્નીની વધુ પડતી ચિંતાઓની. એમનાં નામ મિનેશ અને નીમા. આ બંને ર્વિંકગ કપલ છે. શહેરી જીવનમાં તેમજ આજના યુગમાં બંને કમાઈશું નહીં તો જવાબદારીઓ પૂરી નહીં થાય એ વિચારે આ યુગલે પહેલેથી જ નક્કી કર્યું હતું કે બંને નોકરી કરશે. બંને મળીને સારું કમાઈ લે છે. એમને એક નાનકડી દીકરી છે, ઝીલ. પોતાની દીકરીની ચિંતામાં નીમા અનેક અમંગળ વિચારો કરીને જાતને દુઃખી કરી રહી છે.
થોડા દિવસો પહેલાં બેંગલુરુમાં ત્રણ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયું. એ વાત આવી ત્યારથી નીમાનો જીવ ઠેકાણે નથી. આ સમાચાર અને એ દિવસોમાં આવેલા અનેક સમાચારો જોઈને નીમા બહુ ડિસ્ટર્બ રહે છે. એ કહે છે, મારી દીકરી પણ બહુ નાનકડી છે. એને તો કોઈ ગંદી રીતે અડી જાય તોપણ એને સમજ ન પડે એટલી માસૂમ છે. એની સાથે કંઈક આવું થશે તો એની ચિંતા મને રહ્યાં કરે છે. સોસાયટીમાં બાળકો રમતાં હોય એની સાથે રમવા જવા દેતાં પણ મારો જીવ નથી ચાલતો. જો રમવા મોકલું તો મારી દેરાણી કે એનું ધ્યાન રાખનારી બાઈ હોય તો જ મોકલું. પ્લે ગ્રૂપમાં જાય છે પણ કોઈ વાહન બંધાવવાને બદલે ઘરનું કોઈ એને લેવા મૂકવા જાય એવો જ આગ્રહ રાખું છું. બહાર રમવા મોકલું ત્યારે પણ એને ટૂંકું ફ્રોક નથી પહેરાવતી. આ અને આવી કેટકેટલી તકેદારી નીમા રાખે છે.
સૌથી વધુ વિચારી મૂકે એવી વાત તો એ છે કે, નીમા એવું કહે છે કે માસૂમ દીકરીઓ સાથે બનતી ઘટનાઓથી એટલો બધો ડર લાગે છે કે, મને એવું થઈ આવે છે કે, મારી દીકરીને મારાંથી ક્યાંય અળગી નથી કરવી. સતત એને છાતી સરસી ચાંપીને મારા જીવની જેમ સાચવું.
આસપાસમાં બનતા બનાવોને કારણે મનને ચિંતા થવા લાગે એ સ્વાભાવિક છે. છાપાંમાં આવતા કિસ્સાઓ, ટેલિવિઝનમાં આવતા ક્રાઇમના શોઝ, ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થતા સમાચાર જોઈને કોઈ પણ વ્યક્તિ વિચલિત થઈ જાય. જે વસ્તુ શક્ય ન હોય એની કલ્પનાઓ આવવા માંડે. ફાઇન ચાલો, આ વાત સાથે સહમત થઈ શકાય, પણ સતત ચિંતાઓ કરવાથી કંઈ નથી બનવાનું એવું તો નથીને?
આખા દેશની આબાદી સવાસો કરોડ છે. એમાંથી સામે આવેલા ક્રાઇમના કિસ્સાઓની ટકાવારી ગણો તો બહુ ઓછી નીકળે. સતત વંચાતા અને જોવાતા સમાચારોના કારણે જે બાળકને તમે આ દુનિયા જોવા માટે જન્મ આપ્યો છે એને શા માટે વિકસતું અટકાવો છો? નીમાને એવું થાય છે કે, દીકરીને પોતાની આંખથી ક્યાંય અળગી ન થવા દે. જરા ઇમેજિન કરો આ પરિસ્થિતિને. સતત ને સતત સાથે રહેતો કાળજાનો ટુકડો હોય તોપણ એક વખત તો એનાથી બોર થઈ જ જવાય. જો આવું કરો તો એ જ દીકરી મોટી થઈને તમને સહન ન થાય એવા સવાલો પણ પૂછશે. દીકરી માટે સાવચેત રહેવાની દાનત અને આદત સમજી શકાય એવી છે,પણ તેને સતત પ્રોટેક્ટ કર્યા રાખવાની ભાવના સરવાળે દીકરીને જ નુકસાન કરે એવી નથી લાગતી?
ભવિષ્યની વાત કદીય કોઈના હાથમાં નથી હોતી. એક સેકન્ડ પછી શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી. જે વાત આપણા હાથમાં નથી એની ચિંતામાં તમે તમારી આજ અને દીકરીનું ભવિષ્ય બગાડી રહ્યાં છો. દીકરીની ખીલવા અને ખૂલવાની ઉંમરને અવરોધી રહ્યાં છો. જે ભવિષ્ય કોઈ કળી નથી શકતું તેની પાછળ દિલ અને દિમાગની શક્તિ વેડફવા કરતાં સંતાન સાથે આજના સમયે જીવવામાં જ મજા છે. ચિંતા કરીને મનને ભારે રાખવા કરતાં દીકરી સહેજ મોટી થાય ત્યારે એને એના પૂરતી સમજ આપવામાં જ શાણપણ છે. જે વાત આપણા હાથમાં ન હોય એને વહેવા દેવામાં જ સમજણ છે. દીકરી હોય કે દીકરો સંતાનનું ધ્યાન ચોક્કસ રાખો, પણ ચિંતા કરીને એના ઉપર એટલાં બધાં પણ બંધનો લાદી ન દો કે એનો વિકાસ મુરઝાઈ જાય અને એનું બાળપણ રૃંધાઈ જાય.
(તા. 10 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)         

Tuesday, 2 December 2014

પોતાના લોકો માટે કંઈ કર્યાની 

ગણતરી હોય કે સંતોષ? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

પરિવારજનો કે પોતાના માનતા હોઈએ 
એવા લાગણીના સંબંધોમાં કંઈ પણ કર્યું હોય 
તો તમને કેવી ફીલિંગ આવે છે?

કોઈ પોતાનું હોવું એટલે શું? દરેક વ્યક્તિ માટે અને એ વ્યક્તિના દરેક સંબંધ માટે પોતાના હોવાની વ્યાખ્યા અલગ-અલગ હશે. પોતાનું કોઈ હોવું એટલે જેના માટે તમને કંઈ પણ કર્યાનો આનંદ આવતો હોય અને કંઈ ન કરી શકતાં હોવ ત્યારે દિલમાંથી એક ટીસ નીકળી ઊઠે. ઘણાં લોકો પાસે પરિવારજનો હોય છે પણ એ પોતાના નથી હોતા. તો વળી કેટલાંક લોકો પાસે ઘણાં બધા સંબંધો હોય છે. પણ એમાં સામેવાળાની ગણતરી સમાયેલી જોવા મળે. જિંદગીમાં જો એકાદ સંબંધમાં પણ પોતાનું કંઈક ઊગી આવે તો જિંદગી આપોઆપ ખીલી જ જતી હોય છે. આવું કંઈક થાય ત્યારે જિંદગીને પણ થેંક્યુ કહેવાનું મન થઈ આવે.
આપણી આસપાસ બનતી ઘટનાઓમાં ઘણી વખત આપણે આપણાપણુ ખોઈ બેસીએ છીએ. કંઈક મેળવવાની દોટમાં આપણી સાથે હોય છે એને પણ ભૂલીને કે અવગણીને આગળ દોડતાં જ રહીએ છીએ. સરવાળે જે મેળવવાની દોડ લગાવી હોય એ મંઝિલ મળતી નથી હોતી અને જેને સતત અવગણ્યાં હોય છે એ લોકો પણ આપણી સાથે હોતા નથી. સરવાળે કંઈક મળવાનું તો બાજુ પર હોય છે. આપણો હિસાબ તો માઇનસમાં ચાલ્યો જાય છે.
એક મિત્રએ અનુભવેલી-શેર કરેલી એક વાત પરથી પોતાના લોકો માટે કંઈ કર્યાની ગણતરી વિશે વાત કરવાનું મન થયું. મધ્યમ પરિવારમાં ઉછરેલા એ મિત્રનું નામ યતીન. આજે વિદેશમાં બહુ જ મોટી સોફ્ટવેર કંપનીમાં ટોચની પોસ્ટ ઉપર કામ કરે છે. યતીન ઇન્ડિયામાં ભણીને સોફ્ટવેર એન્જિનિયર થયો. એકનો એક દીકરો હોવાથી એના ઉછેરમાં કે ભણતરમાં કોઈ કમી ન હતી.
યતીન કહે છે, મારા પપ્પા એક જ વ્યક્તિ કમાનાર હતા. દાદા-દાદી તેમજ ફોઈના ઘરનો વ્યવહાર પપ્પા-મમ્મી સાચવે. એ લોકોએ કેટલીય વખત પોતાની સવલતોમાં કોમ્પ્રોમાઇઝ કરીને પણ મને કંઈ કમી નથી આવવા દીધી. કેટલીય વખત મારા મોઢામાંથી નીકળી ગયું હોય કે આ વસ્તુ મને જોઈએ છે. તો સાંજે એ વસ્તુ મને મળી જતી. મમ્મીને ઘર માટે કે કિચન માટે કંઈ વસ્તુ જોઈતી હોય અને મને કંઈ જોઈતું હોય તો પ્રાયોરિટી મને મળતી.
આ બધી વાતો કે ઘટનાઓ ઘણી વખત સામે આવી જાય છે ત્યારે મને મારી ઉંમરની સમજણ ઉપર કોઈ વખત હસવું પણ આવી જાય છે. એક નાનકડી ચીજ મળી જતી તો એમ થઈ જતું કે મારા પપ્પા કેટલાં સારા છે. હું દુનિયાનો સૌથી લકી બોય છું. એક ડિમાન્ડ પૂરી થતી કે હું મારી જાતને સૌથી સુખી માનવા લાગતો. મોટો થતો ગયો તેમ તેમ સુખ અને ખુશીની વ્યાખ્યાઓ બદલાતી ગઈ. આજે હું પપ્પા કોઈ ચીજ લાવી આપતાં તેના કરતાં વધુ અને ઉત્તમ કક્ષાની ચીજો લઈ શકું એટલું કમાઈ લઉં છું. છતાં પણ પપ્પા જે ચીજો અપાવતા કે જે જરૂરિયાતો પૂરી કરતાં એવી લાગણી કે આનંદ આજે મને મારા જ રૂપિયાની બેસ્ટ ચીજો ખરીદવા સમયે નથી થતો. હું મારી જ અંદર એ લાગણીને ફંફોસતો રહું છું. પણ ભૂતકાળની યાદો સિવાય મારા હાથમાં કંઈ જ નથી આવતું.
યતીન એકનો એક દીકરો હોવાથી એણે એનાં મમ્મી-પપ્પાને અમેરિકા પોતાની પાસે બોલાવી લીધાં. બંનેની ઉંમર થઈ એટલે નાના-મોટા તબિયતને લગતાં પ્રોબ્લેમ્સ સામાન્ય થઈ ગયા છે. યતીન અને તેની પત્ની બંને અમેરિકામાં બહુ સારું કમાઈ લે છે. બીજા બધા અમેરિકાવાસીઓની જેમ એ લોકો પણ મેડિકલ ઇન્સ્યોરન્સ અને બીજાં અનેક વીમાકવચ સાથે જીવી રહ્યાં છે.
વાત એમ બની કે, યતીનના પપ્પાની તબિયત વધુ પડતી બગડી ગઈ. દવાઓનો ખર્ચ અમુક ઇન્શ્યોરન્સ કવરથી બહાર જવા લાગ્યો. આ દિવસોમાં પપ્પાની ચિંતા સાથે એણે એક મિત્રને ફોન કર્યો. વાતવાતમાં બહુ સહજતાથી એ મિત્રએ યતીનને પૂછયું કે,ખર્ચ બહુ આવતો હશે નહીં. વિદેશમાં તો બીમાર પડવું પણ મોંઘું પડે તેવું હોય છે. ત્યારે યતીને એ જ વાત કહી કે, હું તો ભગવાનનો આભાર માનું છું કે, પપ્પાની બીમારી પણ મને પોસાય છે. એમણે મારા માટે શું કર્યું છે કે શું નથી કર્યું એની ગણતરી નથી માંડવી પણ હું એમના માટે શું બેસ્ટ કરી શકું એ જ મારી દાનત છે. સંબંધની વાત આવે ત્યારે પોતાના લોકો માટે કંઈ પણ કર્યું હોય એની ગણતરી માંડીએ તો તમારી જાત અને તમારું અસ્તિત્વ નેગેટિવ સિલકમાં જ જોવા મળશે. 
(તા. 03 ડિસેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)         

Tuesday, 25 November 2014

સંબંધો અને સમજણમાં 

આપણે કેટલા નિખાલસ હોઈએ છીએ? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
આપણે ઘણી વખત અનેક લોકોને એવું કહેતાં સાંભળીએ છીએ કે, એ તો તમારા માથે પડેને તો ખબર પડે. આવું કોઈ બોલે ત્યારે ઘડી વાર એમ થઈ આવે કે આવું શા માટે બોલતા હશે? જેની માથે જેવું પડશે એવું એ દેશે.
ખરી વાત તો એ છે કે, માથે પડે ત્યારે જ ગ્રાઉન્ડ રિયાલિટીની ખબર પડતી હોય છે. કોઈ પણ પરિસ્થિતિ કે સંજોગોની બહાર રહીને એના વિશે ટીકા કરવી કે અભિપ્રાય આપવો બહુ સરળ હોય છે, પણ ખરેખર એ પરિસ્થિતિ આવે ત્યારે આપણે એ અભિપ્રાય જેવું વર્તન પણ નથી કરી શકતા હોતા.
એક વાચક સાથે થયેલા થોડા સંવાદો પરથી આ વાત લખવાનું મન થયું. એનું નામ માલવિકા છે. આઠેક વર્ષથી માલવિકા અમેરિકા સેટલ થયેલી છે. મૂળ ભારતીય એવા અમેરિકન સાથે માલવિકાનાં લગ્ન થયાં. દર વર્ષે વેકેશનમાં એ ઇન્ડિયા આવે. પંદર દિવસ સસરાના ઘરે રહે અને પંદર દિવસ પિયરમાં રહે. પોતાના એક દીકરા અને પતિ સાથે એ નિયમિત રીતે ભારત ફરવા આવે. થોડા દિવસ કોઈ જગ્યાએ ફરવા જાય અને પરિવારજનો સાથે સમય વિતાવે.
માલવિકા કહે છે, થોડા મહિનાઓ પહેલાં અમે અમેરિકામાં પોતાનું ઘર લીધું. દરેક સ્ત્રીની જેમ મારું સપનું હતું કે, એક દિવસ મારું પોતાનું ઘર હશે. ઘર લીધું એટલે અમે બંનેએ પોતપોતાનાં મમ્મી-પપ્પાને અમેરિકા તેડાવવાનું નક્કી કર્યું. મારાં સાસુ-સસરાને અમારા અંગત પરિવારમાં લગ્ન હોવાથી એમનું આવવાનું થોડું થયું. મારાં મમ્મી-પપ્પા અમારી પાસે છ મહિનાનો સમય લઈને રહેવા આવ્યાં.
હું, મારા પતિ અને દીકરો અમે ત્રણે ખૂબ જ એક્સાઇટેડ હતાં કે, અમારું કોઈ વડીલ આ વિદેશની ભૂમિ પર આશીર્વાદ આપવા આવશે. અમારું ઘર જોઈને મમ્મી-પપ્પા બહુ રાજી થયાં. છ મહિના રોકાવાના પ્લાન સાથે જ આવેલાં એટલે એ રીતે ઘરમાં એમની રહેવાની વ્યવસ્થા કરી હતી, જેથી એમને કોઈ તકલીફ ન પડે. શરૂઆતના થોડા દિવસો તો બહુ હસી-ખુશી પસાર થઈ ગયા. હું નોકરી પર જાઉં ત્યારે મમ્મી-પપ્પા નાનકડા દીકરાનું ધ્યાન રાખે. સાત વર્ષના દીકરાને નજીકના ગાર્ડનમાં ફરવા લઈ જાય. મેં પહેલેથી જ કહેલું કે, મારા દીકરા સાથે તમારે ગુજરાતીમાં જ બોલવાનું છે. થોડાં અઠવાડિયાંમાં તો મારા દીકરાનું ગુજરાતી જબરદસ્ત સુધરી ગયું.
માલવિકા કહે છે, બધું સરસ રીતે ચાલે છે, પણ મારાં જ મમ્મી-પપ્પા સાથે હવે હું એડજસ્ટ નથી થઈ શકતી. એ લોકોની આદતો હોય કે વાતચીત કરવાની રીતભાત હોય. જે મમ્મી-પપ્પા સાથે મેં મારી જિંદગીનાં લગભગ પચીસેક વર્ષ કાઢયાં છે એમની સતત વાતો કરવાની આદત હવે મને અકળાવે છે. કિચનમાં કામ કરવાની સ્ટાઇલ હોય કે પછી પપ્પાની છાપાં વાંચવાની રીત હોય કે ટેલિવિઝન પર ન્યૂઝ અને ર્ધાિમક કાર્યક્રમો જોવાની એમની આદત. મને આ અને આવી કેટલી બધી વાતો રોજેરોજ અકળાવી જાય છે. કંઈ બોલતી નથી, કેમ કે આખરે એ મારાં મા-બાપ છે. વળી, એવું મન મનાવી લઉં છું કે, મારી સાથે થોડા મહિનાઓ રહેવા આવ્યાં છે એમાં ક્યાં એમને કોઈ વાત કહીને એમનું દિલ દુભાવવું.
આ વાત પછી બીજી જ પળે મને વિચાર આવ્યો કે, મારી બંને ભાભીઓ પાસે તો કોઈ ઓપ્શન જ નથી. એ બંને તો મમ્મી-પપ્પાને સાચવે પણ છે અને કોઈ જ ફરિયાદ નથી કરતી. હું સગી દીકરી થઈને આટલી અકળાઈ જાઉં છું તો પછી તેમની શું હાલત થતી હશે?
આવું વિચારીને તરત જ મેં ઇન્ડિયામાં બંને ભાભીઓ સાથે વાત કરી. બંનેને નિખાલસતાપૂર્વક મને જે ફીલ થાય છે એ કહ્યું. મજાની વાત એ છે કે, મેં મારાં જ મમ્મી-પપ્પાની ફરિયાદો, આદતો વિશે ઘણું બધું કહી દીધું, પણ બંને ભાભીઓએ ખાસ કોઈ વાત ઉચ્ચારી નહીં. મારાથી સંબંધોમાં અને ઉંમરમાં નાની એવી મારી બંને ભાભીઓને મેં દિલથી થેંક્યુ કહ્યંુ. સાથે ઉમેર્યું કે, મમ્મી-પપ્પાની કોઈ વાત, આદત કે કંઈ પણ તમને ન ગમે ત્યારે મારી સાથે શેર કરજો. હું તમને સમજવાની કોશિશ કરીશ અને મમ્મી-પપ્પાને પણ સમજાવવાનો ટ્રાય કરીશ.
આપણે ક્યારેય સંબંધોની સમજદારીમાં આવી નિખાલસતા દાખવીએ છીએ ખરા?       
(તા. 26 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)         

Tuesday, 18 November 2014

મનની મૂંઝવણ દૂર કરવામાં પણ મર્યાદા નડે?

                    એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
મર્યાદાને નામે આપણે ત્યાં દરેક પઢી એના પછીની પેઢી કે એની સાથે જીવતા લોકો માથે નિયમો અને બંધનો મૂકી દે છે. જે બંધનો કે નિયમોમાં સમયાંતરે ફેરફાર અને છૂટછાટ પણ આપી દેવાતી હોય છે. એક વ્યક્તિ માટેનો નિયમ ઘરમાં બધા જ લોકો ઉપર ન લાગુ કરી શકાય. આ હકીકત હોવા છતાં દરેક મુદ્દે કે ઘટના સમયે આપણું સ્ટેન્ડ ફરતું રહે છે. કેટલીક વાર તો એક જ વ્યક્તિ સાથે એક કે પછી અનેક એકસરખી ઘટનાઓ બને ત્યારે આપણો વિચાર દરેક વખત જુદો પડતો હોય છે. પોતાના વર્તનની વાત હોય કે પછી કોઈ માન્યતા હોય આપણને દંભ કરવામાં કોઈ ન પહોંચે. આજની પેઢી જરા જુદી વિચારસરણી ધરાવે છે. વર્તમાનમાં જીવે છે અને દિલમાં ઊઠેલી વાતને દબાવી નથી રાખતી. આવો જ એક કિસ્સો શેર કરવાનું મન થઈ આવે છે.
ત્રેવીસ વર્ષની તન્વીની વાત કરીએ. તન્વીની સગાઈ થઈ ગઈ છે. થોડા જ સમયમાં તેનાં લગ્ન થવાનાં છે. તન્વીની બધી જ બહેનપણીઓની સગાઈ કે લગ્ન થવાનાં બાકી છે. હા, બે-ત્રણ બહેનપણીઓને બોયફ્રેન્ડ છે ખરા. જોકે, એ બહેનપણીઓ સાથે એક હદથી વધુ ખૂલીને વાત થઈ શકતી નથી. તન્વી કહે છે, મારાં લગ્ન થવાનાં છે. મનમાં અનેક સવાલો ઘૂમે છે. પતિ-પત્ની વચ્ચેની રિલેશનશિપથી માંડીને પરિવારમાં સંબંધો કેવી રીતે જાળવવા.
પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધની વાત હોય કે સંબંધમાં સમજદારીનો સવાલ હોય કે પછી સહજીવનમાં એકબીજા સાથેના સંબંધની વાત હોય, આવા સવાલો એક સાંજે મેં મમ્મીને પૂછયા, તો મમ્મી એકદમ ડઘાઈ ગઈ. એણે એક જ વાક્ય કહ્યું કે, "એ બધું ધીમે ધીમે ગોઠવાઈ જશે." આવા ગાંડા જેવા સવાલો નહીં કરવાના. તન્વી કહે છે, મને એમ હતું કે મમ્મી મારી સાથે વાત કરશે,મને સમજાવશે, મારા સવાલોને જવાબ મળી જશે, પણ એવું કંઈ થયું નહીં. બધાને સવાલ થશે કે, આજની જનરેશનની છોકરીને આટલી ખબર નથી પડતી? સાચી વાત એ છે કે, ઘણીખરી છોકરીઓને ખબર નથી હોતી. એક અજાણ્યો ડર મનમાં જીવતો હોય છે. આ સંજોગોમાં મારી ઉંમરની છોકરીઓ પોતાની રીતે બધું નેટ ઉપર અને ફ્રેન્ડ સાથે શેર કરીને કે પછી છાપાં-મેગેઝિનમાં વાંચીને પોતાની જિજ્ઞાાસા સંતોષી લે. ઘણી વખત નેટ ઉપર મળતું સાહિત્ય સાચું હોવા કરતાં ગેરમાર્ગે દોરે એવું વધુ હોય છે. પોતે જેને માનતા હોય એ જ લોકો ફ્રેન્ડ કહીને વાત ન કરે તો અમે શું કરીએ? એ યુવતી એક દિવસ પોતાનું લેપટોપ ખોલીને બેઠી હતી. તેમાં તેણે એક વીડિયો જોયો. જેમાં એક યુવતી એની આસપાસથી પસાર થતાં લોકોને પૂછતી હોય છે કે, કોન્ડમ ક્યાં મળશે?સવાલના જવાબમાં કોઈ તેની સામે આશ્ચર્યથી જુએ છે તો કોઈ તેને જવાબ આપે છે. કોઈ જવાબ આપ્યા વગર નીકળી જાય છે.
તન્વી પૂછે છે, આપણે એકબાજુથી એચઆઈવી ન ફેલાય તેના માટે કોન્ડમના વપરાશને પ્રોત્સાહન આપીએ છીએ. તો પછી એ સવાલ કોઈ છોકરી પૂછે તો એને કેવા કેવા વિચિત્ર રિસ્પોન્સ મળે છે. એક બાજુથી દીકરા-દીકરીને એકસાથે ભણાવવાની હિમાયત કરીએ છીએ અને બીજી બાજુ અનેક જાહેર જગ્યાઓ ઉપર ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા હોય છે.
સાચું હોય એ શીખવવામાં આવે તો એની સામે કોઈ વાંધો નથી, પણ ખોટું છે તો શા માટે છે અને આ મર્યાદા છે તો શા કારણે છે એનું ખરું કારણ તો ગળે ઊતરે એવું હોવું જોઈએ કે નહીં? જિજ્ઞાાસા સંતોષાય નહીં અને નિયમો, મર્યાદા, બંધનો લદાતાં જ આવે જેના કોઈ જવાબો ન હોય ત્યારે આ હિપોક્રસી ગળે ટૂંપાથી વિશેષ નથી લાગતી હોતી. આજની જનરેશન સાથે જીવતાં દરેક મા-બાપ પોતાનાં બાળકોને લઈને અનેક પ્રકારના તણાવમાં જીવે છે. મા-બાપના તણાવ કે ટેન્શન વિશે બાળકોને ખબર હોય કે ન હોય,પણ બાળકોના મનમાં થતા સવાલોના જવાબ આપવાની પહેલી ફરજ તો માતા-પિતાની જ બને છે. બંધનો લાદવામાં અને દંભ કરવામાં બહુ મોટી ભેદરેખા છે નહીં, પણ દંભ નર્યું જૂઠ્ઠાણું બની જાય એ પહેલાં નવી જનરેશનને સાચી સમજ મળે એ વધુ મહત્ત્વનું છે. 
(તા. 19 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)         

Tuesday, 11 November 2014

કર્મ મહાન કે કુળ?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ
કોઈ પણ માણસની ઓળખ શેનાથી થાય?

સામાન્ય રીતે આપણે એવું કહીએ કે, કોઈ પણ માણસની ઓળખ એના નામથી થાય. વાત સાચી, પણ ખરી ઓળખ શેનાથી થાય? ખરી ઓળખ તો એનાં કામ, વ્યક્તિત્વ, સમજ, વર્તન વગેરેથી થતી હોય છે. આ તમામમાં આપણે એના કુળને ભાગ્યે જ જોવા જઈશું. આપણે એનાં કર્મને પહેલાં મહત્ત્વ આપીશું.
કર્મ અને કુળની વાત એટલે કહેવાનું મન થયું કે, થોડા દિવસો પહેલાં એક સમાચાર વાંચવામાં આવ્યા. અનાથ આશ્રમમાં ઉછરીને મોટી થયેલી એક દીકરીનું લગ્ન થયું. આ લગ્ન સમાજના મોભાદાર વ્યક્તિના દીકરા સાથે થયું. આ સમાચાર વાંચીને તરત જ થઈ આવ્યું કે, સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ દીકરા કે દીકરીનું લગ્ન લેવામાં આવે ત્યારે એના કુળનાં મૂળ સુધી પહોંચવાનો મોહ કોઈ જતો નથી કરી શકતું. શું કુળનું મૂળ ઉત્તમ હોય તો એ વ્યક્તિ અતિ ઉત્તમ હોય? આ વાતની કોઈ ગેરંટી હોય ખરી?
આવી જ એક વાત એક ઈ-મેઇલ દ્વારા પૂછવામાં આવી. એ યુવકનું નામ છે સંતોષ. બહુ જ નાનકડા શહેરનો રહેવાસી સંતોષ ભણવામાં એકદમ બ્રિલિયન્ટ છે. પોતે જીવનમાં કંઈક કરી બતાવવાના જોમ સાથે એ સતત મહેનત કરતો રહે છે. સંતોષ લખે છે કેે, હું ઊજળિયાત વર્ગનો દીકરો નથી. નાતજાતના ભેદભાવ વચ્ચે ઉછરીને મોટો થયો છું. હું જે કોમનો છું તેમાંથી બહુ ઓછા લોકો હાયર એજ્યુકેશન સુધી પહોંચ્યા છે. મારે કંઈક કરવું છે પણ મને સતત એ સતાવે રાખે છે કે, હું સમાજનો મોટો વર્ગ છે એમાંનો એક નથી. આવું થાય છે ત્યારે હું ભગવાનને સવાલ કરી બેસું છું કે, તેં આટલી ટેલેન્ટ આપીને મને આવી જ્ઞાાતિમાં કેમ જન્મ આપ્યો?
કુળનું મૂળ અને કર્મની વાત આ બે કિસ્સાઓને લઈને કરવાનું મન થયું. કોઈ પણ માણસ કઈ વાતથી મહાન બને? જેટલા માણસો મહાન થઈ ગયા છે એ બધા કઈ વાતથી મહાન બન્યા? એમની પાછળ લગાવવામાં આવતી સરનેમથી? કે એમની પાછળ લગાવવામાં આવતાં તેમના પિતાના નામથી? ના, દરેક મહાન વ્યક્તિ કે જાણીતી વ્યક્તિ એનાં કામથી કે એનાં કર્મથી ઓળખ પામી છે. તમારું નામ તમારી ઓળખ હોઈ શકે, પણ પ્રતિભા અને મહાનતા તો તમારાં કર્મથી જ સાબિત થતી હોય છે.
મહત્ત્વની વાત તો એ છે કે, કર્મ કરીને તમે કુળને મહાન કે નબળું સાબિત કરી શકો, પણ કુળ મહાન હોય તો તમારાં કર્મો ઉચ્ચ જ હોય એ વાત કદીય નક્કી ન હોઈ શકે. એવા કેટલાંય લોકો હોય છે જેમને પોતાના કુળ કે મૂળની ખબર નથી હોતી, પણ એ લોકો પોતાના કદ કરતાં વધુ ઊંચા ઊઠીને કંઈક કરી બતાવે છે. સામાન્ય ગણાતો માણસ પણ ઘણી વખત તેનાં કર્મથી અસામાન્ય થઈ જતો હોય છે.
આપણી આસપાસની જિંદગીમાં અને પેજ થ્રી પર આવતી સેલિબ્રિટીઝની લાઇફ લઈ લો કે પછી જાણીતી વ્યક્તિની અંગત જિંદગી લઈ લો. એવાં કેટલાંય કિસ્સાઓ અને કેટલીય જિંદગી આપણી આસપાસ ધબકતી હોય છે જેમનું બધું જ ઉચ્ચ કોટિનું હોય, પણ એમનું કામ શરમથી માથું ઝૂકી જાય એવું હોય. કેટલાય લોકો એવા પણ મળી આવે છે કે, હોય સાવ સામાન્ય પણ એમની કોઈ એક વાત આપણને સ્પર્શી જાય એવી હોય છે.
જન્મ કોઈ પણ કુળમાં થયો હોય એ દરેક વ્યક્તિ માટે મહત્ત્વનું હોય, કેમ કે તમને આપવામાં આવેલું નામ, પિતાનું નામ અને અટક તમારી ઓળખ છે, પણ તમારી પ્રતિભા તમારે કેળવવાની રહે છે. મા-બાપ ઉછેર કરે, કેળવણી આપે પણ સરવાળે પોતાની પ્રતિભા કે પોતાની જાતને તમારે તમારાં કર્મથી જ સાબિત કરવી પડતી હોય છે. સામેવાળી વ્યક્તિ માટે તમારું કુળ કે એનું મૂળ મહત્ત્વ ધરાવતું હશે, પણ પોતાના માંહ્યલા સાથે અને જાહેર જીવનમાં તો તમારું કર્મ જ તમારી મહાનતા બતાવતું હોય છે. નામ તમારી ઓળખ હોઈ શકે, પણ કર્મ તમારું જીવન અને કર્મ જ મહાન એ વાત એક દિવસ તો સાબિત થઈને જ રહેવાની છે.
(તા. 12 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Tuesday, 4 November 2014

કોઈ એક ઘટનાથી જિંદગીને બ્રેક મારી દેવાય?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

દરેક વ્યક્તિની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો એવો સમય આવતો જ હોય છે કે, એવું લાગે કે બસ હવે અહીં અંતિમ પોઇન્ટ છે. પોઇન્ટ ઓફ નો રિટર્ન છે. પણ ઘણી વખત આવા જ કોઈ ટર્ન બાદ જિંદગી નવેસરથી શરૂ થતી હોય છે. દિલને દુઃખી કરે કે અસ્તિત્વ હલી જાય એવી ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે આપણને એવું લાગે કે હવે બધું ખતમ થઈ ગયું છે. કોઈ કિનારો નથી દેખાતો. એવું લાગતું હોય છે કે, આ ખરાબ બન્યું એનાથી તો ખરાબ હવે બીજું શું હોઈ શકે?
જરા આ વાતો ઉપર નજર ફેરવીને વિચારી જુઓ કે આવું તમારી સાથે કેટલી વાર બન્યું છે? આવું કંઈ બન્યા પછી કેટલી વખત તમે ધૂળ ખંખેરીને ઊભા થયા છો. કેટકેટલી વાર બમણા જોરથી જિંદગીને આગળ ધપાવી છે. કોઈ દિશા ન સૂઝે ત્યારે પણ જિંદગી જેમ ધપતી હોય તેમ આગળ વધવા દઈને કંઈક સારું થશે એની આશા રાખીને જીવ્યાં હોઈએ છીએ.
આવી જ કંઈક ઘટના કવિતાની જિંદગીમાં બની છે. કવિતા અત્યારે જિંદગીના એવા વળાંક ઉપર બેઠી છે કે ત્યાં એને એવું લાગે છે કે એના જેટલું કોઈ દુઃખી નથી. કવિતા એક વિકસી રહેલા ગામની રહેવાસી છે. સારું એવું ભણી છે પણ એ નથી શહેરની કે નથી ગામડાની એટલે એ નોકરી નથી કરતી. પોતે કેટલી મહેનત કરીને ભણી છે અને હવે એ કંઈ કામ નથી લાગતું એ વાતે એનો સતત જીવ બળતો રહે છે.
થોડા દિવસો પહેલાં જ કવિતાની સગાઈ મા-બાપે પસંદ કરેલા એક યુવાન સાથે થઈ. બહુ રંગેચંગે આ યુગલની સગાઈવિધિ કરવામાં આવી. કવિતાને એમ હતું કે, મેરેજ બાદ પતિ સાથે શહેરમાં રહેવા મળશે તો ભણતર લેખે લાગશે. પોતે કંઈક કમાઈ શકશે અને કંઈક કરીને બતાવશે એવી વાતે એ બહુ રાજી થતી હતી.
પરંતુ સગાઈના થોડા દિવસોમાં જ કવિતાને ખબર પડી ગઈ કે, ભાવિ ભરથારને એનામાં ખાસ કંઈ રસ નથી. બંનેના શોખના વિષયો તેમજ પસંદગી બહુ અલગ અલગ છે. આજની જનરેશનનાં
યુવક-યુવતીઓ જેમ ગાલથી ગાલ ચીપકાવીને સરસ મજાની સેલ્ફી પોતાના પ્રોફાઇલ પિક્ચરમાં રાખે એવું કંઈ પણ આ યુગલ સાથે ન બન્યું. એકબીજાને લાંબા-લાંબા ફોન કોલ્સ કરવાનું પણ એ બંનેને બનતું નહીં. ઊલટું, કવિતા જ્યારે જ્યારે ફોન કરવાની ટ્રાય કરે ત્યારે એ યુવકનો ફોન બિઝી આવે. કવિતા સ્વાભાવિક રીતે પૂછે કે, કોની સાથે વાત ચાલુ હતી તો એ યુવક કદીય સંતોષકારક જવાબ ન આપે.
મા-બાપની મરજીથી સગાઈ થયેલી એટલે કવિતાએ પોતાની શંકા અને વાત મા-બાપને કરી. વાત ગંભીર છે એવું માનીને કવિતાનાં માતા-પિતાએ એ યુવક અને એનાં માતા-પિતા સાથે મિટિંગ ગોઠવી. વાતચીત શરૂ થઈને થોડી જ પળોમાં એ યુવકે કબૂલી લીધું કે, એને કોઈ બીજી વ્યક્તિ ગમે છે. એ આ સગાઈથી ખુશ નથી. વળી, જે સ્ત્રી ગમે છે એ એના કરતાં મોટી છે અને પરણેલી છે.
એ પછી સ્વાભાવિક છે કે, કવિતાનાં માતા-પિતા સગાઈ ફોક કરી નાખે. સગાઈ તૂટયાં પછી કવિતાનો વાંક નહીં હોવા છતાં લોકો એની સામે આંગળી ચીંધતા અચકાતાં નથી. કવિતા આ બધી વાતોથી અને પોતાના સંબંધ તૂટવાના આઘાતથી ભાંગી ગઈ છે. એ કહે છે, મારી તો જિંદગી બરબાર થઈ ગઈ. હવે શું કરવું એ સૂઝતું નથી. કવિતાના કિસ્સામાં તો સૌથી પહેલાં એ વાત સુખદ થઈ કે આ બધી વાતો લગ્ન બાદ બહાર ન આવી. સમયસર બધી ખબર પડી ગઈ અને દિલોમાં વધુ અંતર આવે એ પહેલાં સંબંધ જ તૂટી ગયો. બીજી વાત એ કે, વીસ-પચીસ વર્ષ સુધી તમે મા-બાપને ઘરે એમની ખુશીમાં ખુશ હોવ એ રીતે જીવ્યાં હોય અને અચાનક એક વ્યક્તિ આવીને તમારી જિંદગીમાં વાવાઝોડું લાવી દે તો એની સામે ટકી રહેવાની તાકાત તો તમારે જ કેળવવી પડે. અતિ ખરાબ પણ ક્યારેય અંતિમ હોતું નથી એ વાત કદીય ન ભૂલવી જોઈએ.
(તા. ૦5 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Wednesday, 29 October 2014

રીલ લાઇફ અને રિયલ લાઇફ 

સરખામણી કેટલી યોગ્ય?

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

ગ્લેમર વર્લ્ડ અને કચકડાંની દુનિયા આજના યુગમાં જીવતાં લોકોનો એક અભિન્ન હિસ્સો બની ગઈ છે. રહેણી-કરણીથી માંડીને લોકોને જોવાના-માપવાના નજરિયામાં પણ આ કચકડાંની દુનિયાનાં પાત્રો હાવી રહે છે. બીજી એક વાત એ પણ સાચી છે કે,જો આ સિરિયલ્સ અને ફિલ્મોની ચેનલ્સ ન હોત તો કેટલી બધી અલગ અલગ ઉંમરની વ્યક્તિઓ માટે સમય પસાર કરવો પણ અઘરો બની જાત. સમય પસાર કરવાની વાત અને એ સ્ક્રીપ્ટેડ જિંદગી જીવતાં પાત્રોનું આપણી માથે હાવી થઈ જવું એ બંને બહુ જ જુદી વાત છે. મનોરંજન માટે જોવામાં આવે ત્યાં સુધી કંઈ વાંધો ન હોઈ શકે, પણ એ પ્રમાણે જીવન જીવવાની કે એ રીતભાતમાં પોતાની રહેણી-કરણીને ખોટી રીતે ઢાળવાની કોશિશ કરવામાં આવે ત્યારે અડચણો ઊભી થાય છે.
એક વાચક નામે શ્રીલેખાની વાત કરીએ. શ્રીલેખા લાડકોડથી ઉછરેલી ઉચ્ચ મધ્યમવર્ગની દીકરી છે. દેખાવમાં બહુ જ બ્યુટીફૂલની ગણનામાં આવે એવી શ્રીલેખાને પોતાની ઓફિસના કામ અંગે બહુ જ બહાર ફરવા જવાનું થતું. એક જ જગ્યાએ અનેક વાર જવાનું થતું. એમાં એને કંપનીના જ એક ક્લાયન્ટ સાથે વધુ બનવા લાગ્યું. ધીમે ધીમે ખબર પડી કે એ દોસ્તીથી વધુ કંઈક છે. બંને પ્રેમમાં પડી ગયાં. બંને એક જ જ્ઞાાતિનાં હોવા છતાં બંનેનાં માતા-પિતા બહુ જલદીથી રાજી ન થયાં. શ્રીલેખા તથા તેના પ્રેમી ધૈર્યએ નક્કી કર્યું હતું કે, બંનેનાં મા-બાપ દિલથી ન માને ત્યાં સુધી કોઈ ઉતાવળ ન કરવી. એક દોઢ વર્ષ જેવું થયું અને બંને તરફથી હા આવી ગઈ.
શ્રીલેખા પોતાનાં સાસરિયાંની વાત કહે છે. એ કહે છે, ટેલિવિઝન ઉપર આવતી અલગ અલગ સિરિયલ્સ એ જુએ છે. પિયરમાં એની મમ્મી પણ ક્રેઝી છે અને સાસરે એનાં સાસુને પણ આવી સિરિયલ્સ જોવી બહુ ગમે છે. એ કહે છે, "મારી મમ્મી હોય કે સાસુ બંને સિરિયલ્સ જુએ ત્યાં સુધી વાંધો નથી પણ એ અભિનય કરતાં પાત્રોની સરખામણી બંને જાણેઅજાણે ખરી જિંદગીનાં પાત્રો સાથે કરવા માંડે છે. મારી મમ્મીના માથે એ સિરિયલમાં થતાં સાજ-શણગાર અને ફેશનની વાત હાવી હોય છે. મારી સગાઈ થઈ ત્યારે પણ મને એવો ફોર્સ કરે કે, મારે ફલાણી સિરિયલમાં ઢીંકણું પાત્ર પહેરે છે એવી ફેશનની સાડી-અનારકલી લેવાં જોઈએ. એરિંગ્સ હોય કે બીજી જ્વેલરી મને એવું જ કહે કે, તને ગમે એવું નહીં પણ જેવો ટ્રેન્ડ હોય એવું તારે લેવું જોઈએ."
તો આ બાજુ મારાં સાસુની તો વાત શું કરું? એ કહે છે, "સિરિયલમાં આવતાં પાત્રોનો અભિનય જોઈને એ તો એમાં ખોવાઈ જ જાય છે. એક-બે વાર હું સાસરે કોઈ તહેવારોમાં ગયેલી. તો મારાં સાસુ એકાદ સિરિયલમાં આવતી વહુના પાત્રને જોઈને એવું બોલ્યાં કે આવી વહુ તો કોઈ ભાગ્યશાળીને જ મળે. બધાંને થોડી આવી વહુ મળવાની છે?"
શ્રીલેખા કહે છે, "હું એમની પસંદગીની વહુ નથી. એમના દીકરાની પસંદગીનું પાત્ર છું. એટલે એ એક હદથી વધારે મારી ઉપર સાસુપણું નથી કરી શકતાં. આ વાતનો એમને રંજ હોય એવું મને સતત લાગ્યા રાખે છે. જો પોતાની પસંદગીની વહુ આવી હોય તો પોતાના કંટ્રોલમાં રહે એવું એમનું માનવું છે. વળી, એ પાત્રો જોઈને ખરી જિંદગીમાં હોય એ લોકો સાથે સરખામણી કરી બેસે ત્યારે મને વાત ગળે નથી ઊતરતી. એ જ્યારે જ્યારે એવું બોલે કે, આવી વહુ તો કોઈક લકી વ્યક્તિને જ મળે ત્યારે ત્યારે મને એવું કહેવાનું મન થાય છે કે, તમે પણ ક્યાં એ કચકડે મઢેલી સાસુ જેવાં છો?"
પોતાની પસંદગીની વહુ હોય તો એની ઉપર આધિપત્ય જમાવી શકાય. દીકરાની પસંદગીની છોકરી સિરિયલમાં આવતી વહુ જેવી ન હોય. આ અને આવી માનસિકતા ધરાવતાં સાસુ સાથે મારે એડજસ્ટ થવાનું છે. કોઈક વખત એવું લાગે છે કે, ખરેખર સિરિયલમાં આવે છે એટલું સરળ છે તો કોઈક વખત એમ લાગે છે કે, સંબંધોની આંટીઘૂંટીમાં આ ગ્લેમર વર્લ્ડ આગમાં ઘી હોમવાનું કામ કરે છે. સાચી વાત એ છે કે, રીલ લાઇફની સિરિયલનાં પાત્રોને રિયલ લાઇફની સાથે ન જોડીએ એ જ વાજબી છે.
(તા. 29 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Wednesday, 22 October 2014

આવો થોડો કકળાટ કાઢી લઈએ

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

આજે કાળી ચૌદશ છે. કેવું છે, આપણે એનું નામ બદલીને રૂપ ચૌદશ કરી નાખ્યું છે. આપણને 'કાળું' ગમતું નથી. આવતી કાલે દિવાળી એટલે વરસનો છેલ્લો દિવસ. જો તમને એમ કહેવામાં આવે કે, આ આખા વર્ષમાં થયેલી એક ઘટનાને તમે ભૂંસી અને ભૂલી શકો છો તો તમે કઈ ઘટનાને ભૂલી જાવ? હવે બીજી વાત, આખા વર્ષમાં એવી કઈ ઘટના છે જે તમે જિંદગીમાં ક્યારેય ભૂલવા ન ઇચ્છો. વેલ, તમને આમ કરતાં કોણ રોકે છે? બીત ગઈ સો બાત ગઈ એવું આપણે કહીએ છીએ, પણ ખરેખર એવું કરીએ છીએ ખરા? એક શાયરે સરસ લખ્યું છે, બેનામ સા યે દર્દ ઠહર ક્યૂં નહીં જાતા. જો બીત ગયા હૈ વો ગુજર ક્યૂં નહીં જાતા. કેટલીક ઘટનાઓ એવી હોય છે જે નદીનું પાણી નથી કે પાછી આવે. તમને શું લાગે છે, એ પાછું આવતું હોય છે કે, આપણે એને પકડી રાખતાં હોઈએ છીએ? આપણે છોડીએ જ નહીં તો એ છટકવાનું કેવી રીતે?
આજે રાતે બધી જ બહેનો કકળાટ કાઢવા જશે. અડદની દાળનાં વડાં બનાવી શેરીના ચોકમાં જઈને કકળાટ કાઢશે. માત્ર અમુક સિબ્મોલિક વિધિ કરી દેવાથી કકળાટ નીકળી જાય છે? આટલી આસાનીથી 'કકળાટ' નીકળી જતો હોય તો તો આજે બધાં જ ઘર 'કકળાટ ફ્રી' હોત અને હા, કકળાટ કાઢવા જતી વખતે ઘરના વડીલો કહે છે કે, કકળાટ કાઢતી વખતે પાછું વળીને ન જોતા. આ વાતમાં કંઈક દમ લાગે છે. પાછું વળીને કેમ નહીં જોવાનું? કદાચ એટલા માટે હશે કે, આપણે પાછળ જ જોયે રાખતા હોઈએ છીએ. પાછળ જોનારાઓ આગળ નથી જોઈ શકતા. કાં પાછળ જોવાનું હોય છે કાં આગળ જોવાનું હોય છે. પાછળ જ જોતા રહેશો તો કકળાટ ક્યારેય નીકળવાનો નથી.
આજે એક પરિચિતની વાત કરવી છે. એમનું નામ મનોરમા. એને જ્યારે પણ મળવાનું થાય ત્યારે એના મોઢે બધાંની ફરિયાદો જ મળે. મારી નણંદે આવું કર્યું, મારી જેઠાણી મને આવાં મેણાં મારે છે, મારી સાસુને તો વતાવવા જેવી જ નથી. મારા વરને પણ એના ઘરના બધાં વહાલા છે. આવી વાતો કરીને પછી ઉદાહરણો જ આપે. આખી મુલાકાતમાં એકેય વાત એવી ન હોય જેનાથી એને કે સાંભળનારને હળવાશ લાગે. ઘણી વખત એવું થાય કે, આટલી બધી નેગેટિવિટી માણસમાં કેવી રીતે આવી જતી હશે? મનોરમા સાથે દલીલ કે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નહોતો, કારણ કે એણે બધા જ વિષયની એક દૃઢ છાપ બનાવી લીધી હતી. આમ છતાં એક દિવસ મનોરમાને પૂછી બેસાયું કે, "તું આ ચાર-પાંચ વ્યક્તિઓની વારંવાર વાતો અને ફરિયાદો કરે છે, પણ આજે મારે તારી પાસેથી જરાક જુદું જાણવું છે. તું આ ચારેય વિશે માત્ર એક એવી વાત કર જે સારી હોય." મનોરમાએ ખૂબ વિચાર કર્યો પણ એ જવાબ આપી શકી નહીં. એણે કહ્યું કે, "એ પરિવારજનોમાં મને તો કોઈ સારી વાત દેખાતી જ નથી."
મનોરમાને કહ્યું, "ઓકે, ફાઇન." હવે તું તારા વિશે એેક એવી વાત કર જેને એ ચારેય લોકો ખરાબ સમજતાં હોય. મનોરમાએ ફટ દઈને કહ્યું કે, "એ લોકોને તો મારી બધી જ વાત ખરાબ લાગે છે." મનોરમાનેે છેલ્લે એટલું જ કહ્યું કે, "તેં જે જવાબો આપ્યા છે એના ઉપર થોડોક વિચાર કરી જોજે એટલે તને તારાં દુઃખનું કારણ મળી જશે."
આપણે પોતે નેગેટિવ હોઈએ ત્યારે બધું નેગેટિવ જ લાગતું હોય છે. બધાં સોએ સો ટકા નેગેટિવ હોતા નથી, પણ થોડો ઘણો 'કકળાટ' બધાંમાં હોય જ છે. બસ, આ કકળાટ નીકળી જાયને તો આપણને અઘરી લાગતી જિંદગી હળવી થઈ જાય. સપરમાં દહાડે ઘરના ખૂણેખૂણામાંથી આપણે કચરો અને ધૂળજાળાં કાઢીએ છીએ, પણ જો મન મેલું હશે તો ચોખ્ખાઈમાં પણ ઉજાસ લાગવાનો નથી. જ્યાં ઉજાસ ન હોય ત્યાં ઉલ્લાસ ક્યાંથી આવવાનો?
(તા. 22 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Wednesday, 15 October 2014

ઘર હોય તો સુખ હોય કે 

સુખ હોય ત્યાં ઘર હોય? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

પ્રેમ એવી લાગણી છે કે ત્યાં બીજું બધું જ સહજ લાગે છે. પોતાની કોઈ એક વ્યક્તિ એવી હોય જેનો સાથ અને જેનો પ્રેમ તમને સલામત હોવાની અનુભૂતિ આપે છે. એ છે તો જાણે માથે છત છે એવી ફીલિંગ સ્નેહ, લાગણી અને પ્રેમ હોય ત્યાં આવી જ જવાની છે. બે વ્યક્તિઓને આવી ફીલિંગ થતી હોય પણ એ બે વ્યક્તિ સાથે જોડાયેલા લોકો આવી કાલ્પનિક વાતો કે અનુભૂતિને મહત્ત્વની ન ગણે ત્યારે શું કરવાનું?
સુરભિ નામની એક વાચકના આવેલા ઈ-મેઇલ પરથી વાત કરવાનું મન થયું. એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી સુરભિને સાથે કામ કરતા યુવક નીરવ સાથે પ્રેમ થયો. બંને એક જ જ્ઞાાતિનાં હતાં. એમ જ સમજતાં રહ્યાં કે ઘરના લોકો ક્યાં ના પાડવાના છે. નીરવના ઘરેથી તો પહેલા જ ધડાકે હા આવી ગઈ, પણ સુરભિના ઘરે જેવી ખબર પડી કે એના ઘરે ધરતીકંપ થયો. સૌથી પહેલાં તો એની મમ્મીએ એની નોકરી જ મુકાવી દીધી. સુરભિનું પ્રમોશન ડયુ હતું અને એની મમ્મીની જિદના કારણે એણે નોકરી મૂકવી પડી. એક પછી એક બંધનો લદાતાં ગયાં. એનો ફોન છીનવી લેવામાં આવ્યો. છ મહિના સુધી એને રેઢી મૂકવા ન દેવાઈ. નીરવને ભૂલી જાય એવા તમામ પ્રયત્નો એના સંયુક્ત પરિવારના વડીલોએ કર્યા. લગભગ આઠેક મહિના સુધી આ સિલસિલો ચાલ્યો. આ બાજુ નીરવથી પણ સુરભિની જુદાઈ સહન નહોતી થતી. દીકરાને આમ હિજરાતો જોઈને નીરવનાં મમ્મી-પપ્પા સુરભિના ઘરે ગયાં. વિનંતી કરી,સમજાવટથી બંનેની સગાઈ માટે કન્વીન્સ કર્યાં. બંનેની સગાઈ થઈ ગઈ. થોડા દિવસો સુધી આવવા-જવાનું રહ્યું. ચારેક મહિના થયા એટલે નીરવનાં મા-બાપ લગ્નની વાત લઈને ગયાં. સુરભિની મમ્મીએ ચોખ્ખું સુણાવી દીધું કે, તમારા દીકરાનો પગાર પચીસ હજાર રૂપિયા છે. પોતાનું ઘરનું ઘર નથી. એ શું મારી દીકરીને સુખી કરવાનો? પહેલાં એનું ઘરનું ઘર બંધાય પછી જ હું મારી દીકરીનાં લગ્ન એની સાથે કરાવીશ. બાકી વાત પડતી મૂકો.
લગ્નની વાતમાં ઘરનું ઘર અને સુખની વાતો કરતી સુરભિની મમ્મી એટલી જિદે ચડી ગઈ કે, ફરી સુરભિ સાથે બંધનો લાદી દેવાયાં. સુરભિ લખે છે, એક દિવસ મમ્મી માની જશે એ રાહમાં મેં બીજા બે મહિના કાઢી નાખ્યા. હાલત એ હતી કે હવે મારે પણ નીરવ સાથે જિંદગી જીવવી હતી. આથી એક દિવસ અનેક પાબંદીઓને તોડીને હું પહેરેલાં કપડે ચાલી નીકળી. નીરવના ઘરે ગઈ. એ હકીકત જાણીને મને ફરીથી મૂકવા આવ્યો, તો મારી મમ્મીએ અમને બંનેને કાઢી મૂક્યાં. બસ, એક જ વાત કે ઓછો પગાર અને ઘરનું ઘર નથી એટલે મારી દીકરીના સુખની કોઈ ગેરંટી નથી. પછી આ યુગલે સાદાઈથી નીરવના પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધાં, પણ સુરભિનું મન મમ્મીની જિદના સવાલો કરતું રહે છે. પોતાને જસ્ટિફાય કરવા કોશિશ કરે છે કે, એણે કંઈ ખોટું તો નથી કર્યું ને?
સુરભિનાં મમ્મીને એટલું જ કહેવાનું મન થાય છે કે, બંગલા અને ગાડી હશે તોપણ સુખની કોઈ ગેરંટી છે ખરી? પોતે જેને પ્રેમ કરતા હોય એ વ્યક્તિનો સાથ ન હોય ત્યારે એ ઘર પણ ઈંટ રેતીની નિર્જીવ દીવાલોથી વધુ કંઈ નથી હોતું. એ ઘર ત્યારે જ ધબકતું લાગે છે જ્યારે દિલમાં વસેલો ધબકાર આપણી સાથે હોય.
આજના યુગમાં નવી પેઢી એકદમ સડસડાટ આગળ વધી રહી છે. આજે પચીસ હજાર પગાર હોય એનો બે વર્ષમાં ડબલ પગાર પણ થઈ જાય. સંજોગો અને કરિયર ક્યારે કરવટ બદલે એની કોઈને ખબર નથી હોતી. વર્તમાન પરિસ્થિતિ જ કાયમ રહેશે એવું માનીને સગી દીકરીની ખુશી ન દેખાય એ પણ યોગ્ય નથી.
સુરભિને પણ એટલું જ લખવાનું થાય છે કે, જે સમયે દિલ અને દિમાગ બંનેએ એક જ તરફ જવાની દિશા બતાવી હોય પછી એ દિશામાં વાવાઝોડું હોય, વંટોળ હોય કે પછી સ્વર્ગની અનુભૂતિ થાય એવું સુખ હોય. જે હોય તેને જીવી લેવાનું અને જે મળે એને વધાવી લેવાનું. ઈંટોની દીવાલો ઓટોમેટિક ઘર બની જ જશે.
(તા. 15 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Wednesday, 8 October 2014

સ્વતંત્રતામાં વધુ મજા છે કે 

બંધનો તોડવામાં વધારે રોમાંચ? 

એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

કોને કેટલી સ્વતંત્રતા મળવી જોઈએ? એ કોણ નક્કી કરે? સર્વમાન્ય એવો એક જવાબ છે કે, પરિવારનો મોભી જે તે સ્વતંત્રતાની મર્યાદા નક્કી કરે. વળી, છૂટ આપવાની વાત આવે ત્યારે આપણે સ્વતંત્રતા પણ કેવી આપીએ છીએ?
દીકરીને એની બહેનપણીની બર્થ ડે પાર્ટીમાં જવા દઈએ પણ સમયની મર્યાદા બાંધીને! સામી બાજુ દીકરાને અપાતી છૂટછાટના નિયમો જુદા. અલબત્ત, દીકરા-દીકરીના કુદરતે મૂકેલા ફરકને ધ્યાને લઈને આ બંધનો નક્કી થતાં હોય છે. દીકરા-દીકરીને છૂટછાટ કે બંધનોમાં રાખતા ભેદભાવની વાત નથી કરવી. વાત કરવી છે,સ્વતંત્રતામાં વધુ મજા આવે કે બંધનો તોડવાનો રોમાંચ વધુ હોય?બંનેની અનુભૂતિ અલગ અલગ છે. સ્વત્રંતામાં મળેલું ખુલ્લું આકાશ છે જ્યારે બંધન તોડવામાં ખુલ્લું આકાશ પણ આપણે આપણી રીતે કેળવવાનું છે અને એમાં પાંખો ફેલાવીને પોતાની રીતે અંતર કાપવાનું હોય છે. ઉડાન ભરવાથી માંડીને પવન કાપવાનો આનંદ-રોમાંચ તમે પોતે અચીવ કરેલો હોય છે. સ્વાભાવિક છે એનો રોમાંચ કે આનંદ વધુ હોવાનો, પરંતુ બંધનો તોડવાનું રિસ્કી પણ એટલું જ છે. બંધનો તોડવાની કિંમત પણ ઘણી વખત ચૂકવવી પડે છે. એ કિંમત આકરી અને અઘરી પડે ત્યારે બંધનોનાં કોચલામાં પુરાઈ રહેવાનું લોકો પસંદ કરે છે. સરવાળે કોઈની સ્વતંત્રતાને જોઈને જીવ બાળવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.
સામાન્ય રીતે બંધનોમાં કંઈક ખૂટે છે એ નથી મળતું એવો ભાવ સતત મનમાં ઘૂમ્યે રાખતો હોય છે. દુનિયાની નજરે એ સંપૂર્ણ હોવાં છતાં અનેક બંધનો વચ્ચેની એ સંપૂર્ણ પણ અપૂર્ણ અને અધૂરી હોય એવું લાગે છે.
પરિવારમાં મોડે સુધી ફરવા ન મળતું હોય, મેકઅપ કરવા ન મળે, મોડે સુધી ફરવા દેવામાં ન આવે, વેસ્ટર્ન કપડાં ન પહેરવા દેવામાં આવે, સ્લીવલેસ ન પહેરવા દેવામાં આવે કે પછી ગમતી નોકરી ન કરવા દેવામાં આવે તો જે નથી મળ્યું એ જ હંમેશાં મોટું રહેવાનું. એની સામે ગમે તેટલું મળ્યું હોય તોપણ નથી મળ્યું એ વધુ મહત્ત્વનું બની રહે છે.
મોડે સુધી પાર્ટી ન કરવા દેવામાં આવે, ગમતી એવી મોંઘી બાઇક ન મળે, પોકેટમની ફિક્સ હોય, અમુક લાઇફસ્ટાઇલ કેળવવાની ફરજ પાડવામાં આવે, મનનું ધાર્યું કહેવાની કે કરવાની છૂટ ન મળે, પરિવારનાં કે બીજાં મિત્રોનાં બાળકો સાથે સતત થતી સરખામણી હોય કે પછી કોઈ પણ બાબતનું બંધન હોય એ બંધન હંમેશાં ખટકતું જ રહેવાનું છે. જ્યાં બંધન છે ત્યાં એનો તૂટવાનો ભય રહેવાનો જ છે. બધાં જ લોકો બધાં બંધનો સ્વીકારીને નથી જીવી શકતાં હોતાં.
એક પરિવારની વાત છે. એ સંયુક્ત પરિવારની વહુઓને સસરા-જેઠ હોય ત્યારે માથે ઓઢવાનું. તેમની સાથે બહુ વાતચીત ન થઈ શકે એવો નિયમ. સૌથી મોટી વહુને માત્ર સસરાનું ઓઢવું પડે, પણ એનાથી નાના ભાઈની બંને વહુઓને વધુ મર્યાદામાં રહેવું પડે. સૌથી નાની વહુને આ બહુ ખટકે. પોતે ભણેલી છે અને પૈસાદાર પરિવારની વધુ છૂટછાટમાં ઉછરેલી દીકરી છે એ વાત એના મગજમાંથી નીકળે નહીં. પરિવારના વડીલો ઘરમાં હોય પણ આસપાસમાં ન હોય તો એ ફટ કરતું માથે ઓઢેલું ઉતારી દે. આ વાત એના સસરાને ખબર હતી. એ હંમેશાં સૌથી મોટા પૌત્રને એવું કહેવા મોકલે કે, નાની વહુને કહો માથે ખીલો ખોડી દે. કહેવાની વાત એ છે કે, મન વગરનું બંધન પણ કંઈ અસર કરતું નથી. મનથી મર્યાદા જળવાય તો જ એની ગરિમા છે. જે બંધનમાંથી મુક્ત થવા માટે મન સતત છટપટતું હોય એ બંધન અસ્તિત્વને રૃંધી નાખે છે. સ્વતંત્રતાનો દુરુપયોગ થાય તો એની ગરિમા હણાઈ જાય છે. સંબંધોમાં મળતી આઝાદીને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવામાં આવે તો કદાચ એ કોઈ અણગમતી હકીકતમાં પલટાઈ જતાં તેને વાર નથી લાગતી. સાચી વાત તો એ છે કે, સ્વતંત્રતા અને બંધન હૈયેથી સમજાવા જોઈએ. કોઈના કહેવાથી આ બંને શબ્દોના મર્મને પચાવી શકીએ એ વાતમાં દમ નથી. અંતે તો વ્યક્તિગત સમજદારી જ મહત્ત્વની રહે છે.
(તા. 08 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

email : jyotiu@gmail.com

Wednesday, 1 October 2014

એમ ફૂંક મારીને ભૂતકાળને ભૂલી શકાય? 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

થોડાં અઠવાડિયાં પહેલાં ફિલ્મ આવી હતી 'મર્દાની'. આ ફિલ્મમાં બહુ જ સંવેદનશીલ અને આઘાતજનક ઘટનામાંથી પસાર થઈ રહેલી ટીનેજ ગર્લની સામે એક નાનકડી કેક ઉપર સળગતી કેન્ડલ રાખીને એવું કહેવામાં આવે છે કે, ફૂંક માર અને આગળ વધ. આ જ જિંદગી છે.

એ સીન યાદ કરીને અનેક વખત એવો વિચાર આવ્યો કે ખરેખર આપણે એવી કેટલી બધી વાતોની ગાંઠ અને ભારનું પોટલંંુ માથે લઈને ફરતાં હોઈએ છીએ. શું આપણે એટલી સહજતાથી એ ભારને હળવો કરી શકીએ છીએ? શું આપણી રોજિંદી જિંદગી સાથે એટલી સહજતા જોડાયેલી છે? આપણે મનમાં ને મનમાં એ વાતને એટલી ઘૂંટયે રાખીએ છીએ કે એ કાળાશ ક્યારે આપણાં દિલની કડવાશ બની જાય છે એની આપણને ખબર સુધ્ધાં નથી રહેતી.

એક જ્ઞાાતિના મોભીની વાત કરવાનું મન થાય છે. એમનું નામ રમણિકભાઈ. એમની નાતમાં રમણિકભાઈની સલાહ એટલે શિરોમાન્ય. એ જેમ કહે એમ મોટાભાગના લોકો માને. કેટલાંય લોકોના પ્રોબ્લેમ્સને એ સાંભળે, સોલ્વ કરે, નિષ્પક્ષ રહીને સલાહ આપે. ફરિયાદ લઈને આવનારી વ્યક્તિ પોતાની સગી દીકરી હોય કે પછી સગો ભાઈ હોય એમનો નિર્ણય કદીય બાયસ ન હોય. એક દિવસ મેં એમને પૂછયું કે, આ બધા પ્રોબ્લેમ્સ તમારી સમક્ષ આવે ત્યારે તમે કોઈની વિરુદ્ધમાં કંઈ બોલો તો કોઈ તમને કંઈ બોલતું નથી?

એમણે કહ્યું, કોઈ પણ વ્યક્તિ એનો પ્રોબ્લેમ લઈને આવે એટલે મારું દિલ કહે અને પ્રેક્ટિકલી બુદ્ધિ જેમાં સહમતિ આપે એવી વાત હું સામેવાળાને કહું છું. આ કારણથી જ અનેક લોકોની વિરુદ્ધમાં બોલું છું ત્યારે આંખે થઈ જાઉં છું. એ લોકો મને જેમતેમ બોલી દે છે. કેટલાંય લોકો મને જિંદગી આખી નહીં બોલાવવાના સોગંદ પણ લઈ લે છે.

આવી વાત બને ત્યારે એ વાતને એટલી જલદીથી ખંખેરી નાખું છું કે, જાણે કંઈ બન્યું જ નથી. ઊલટું મારી સામે મારું જ ખરાબ બોલીને ગયેલી વ્યક્તિ ફરી વાર સામે મળે ત્યારે એકદમ પ્રેમથી એની સાથે વાત કરું છું. નહીં ગમતી વાતને માથા પરની ધૂળ હોય એમ મનમાંથી ખંખેરી નાખું એટલે નથી મનમાં કંઈ ભાર રહેતો કે નથી જાતને ખોટું બોલીને છેતરવી પડતી.

આપણી જિંદગીમાં આપણે કેટલી વખત આવું કરી શકીએ છીએ? કે પછી એક પણ વખત આવો પ્રયાસ કરી જોઈએ છીએ? સાચી વાત એ છે કે અણગમતી વાતોનો ભંડાર બનાવવાની કોઈ જરૂર નથી હોતી. જિંદગી હંમેશાં આગળ વધતી રહેવાની છે. આપણે જ ઘણી વખત માનસિક રીતે એ નહીં ગમતી ઘટનામાંથી બહાર નથી આવી શકતા. એટલે જ આજમાં જીવી નથી શકતા. કોઈએ કહેલી વાતની અસર આપણા માથે એટલી બધી હાવી રહે છે કે, જે ખરેખર જિંદગીમાં કરવા જેવું હોય છે એ જ આપણે કરવાનું ભૂલી જઈએ છીએ.

સાચી વાત એ છે કે, ખરેખર અમુક ઘટનાઓ કે પ્રસંગો તો ફૂંક મારીને ભૂલી જવા જેવાં જ હોય છે, પણ એ આપણાંથી થતું હોતું નથી. આપણને આપણો જ સ્વભાવ નડી જાય છે. આપણો જ ઇગો આપણી સમજદારીની આડે આવી જાય છે. એટલે જ સમજદારી વાપરવાની હોય છે ત્યાં આપણે સ્વભાવગત વર્તનને રિપીટ કરીએ છીએ. કેટલીક પળો એવી બની જતી હોય છે જેની જ્યોતને ફૂંક મારીને ઓલવી દેવામાં જ ખરી જિંદગી સમાયેલી હોય છે. તમારી જિંદગીમાં આવી કેટલી પળ છે? જો એવી કોઈ પળ હોય તો તમે એને ફૂંક મારીને ભૂલી જવાનો પ્રયત્ન કરો છો ખરા?

(તા. 01 ઓકટોબર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

link of article : http://sandesh.com/article.aspx?newsid=2993236 

jyotiu@gmail.com

Wednesday, 24 September 2014

કેટલાં ઘર ચાચરના ચોક જેવાં હોય છે? 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ


ચાચરના ચોકવાળી, વાઘ અસવાર છે, મોઢું સોહામણું ને સોળે શણગાર છે. ચાચરના ચોકમાં માતાજીને ભજવાના દિવસો કાલથી શરૂ થાય છે. નવ દિવસ સુધી દરેક લોકો માતાજીનો મહિમા ગાશે. આપણે દૈવી શક્તિને પૂજતા આવ્યાં છીએ પણ ખરેખરી શક્તિને આપણે પૂજીએ છીએ ખરાં?

સવાલ એ થાય કે, આ ખરી શક્તિ એટલે કોણ?

આપણાં ઘરમાં, સમાજમાં અને સંસારમાં ખરેખર સ્ત્રીઓને શક્તિ જેટલું સન્માન મળે છે ખરું? જો હા તો પછી કેમ હજુ સ્ત્રીઓને રાત્રે અંધારું થાય પછી બહાર નીકળતા ડર લાગે છે? કેમ હજુ ઘણી સ્ત્રીઓની હાલત પગમાં બેડીઓ બાંધીને ઘરની ચાર દીવાલો વચ્ચે પૂરી દેવાયેલા પંખી જેવી છે? એવાં પંખી જેને ઊડવું છે પણ આકાશ નથી. પાંખો છે પણ પાંખ ફેલાવવાની પરવાનગી નથી. આવી સિસકતી કેટલીયે શક્તિઓ રૃંધાઈ જાય છે ત્યારે કેમ કોઈને ચાચરનો ચોક યાદ આવતો નથી? આપણે ગાઈએ છીએ કે, કુમકુમનાં પગલાં પડયાં, પણ એ કુમકુમનાં પગલાં અને લોહીનાં લાલ પગલાંમાં આપણને કેમ કંઈ ભેદ નથી વર્તાતો?

આજે યાદ આવે છે એક છોકરી, એનું નામ હતું અનુ. એને ભણવું હતું. એનાં મા-બાપ એવું કહેતા હતાં કે, બહુ ભણવું નથી. આપણી નાતમાં વધુ ભણેલાં છોકરાંઓ મળતાં નથી. ભણીશ તો વળી પાછું તને તારા લેવલનો છોકરો જોઈશે. અનુએ કહ્યું કે, લગ્નની બાબતમાં કે પાત્રની પસંદગીમાં કંઈ નહીં બોલું. તો પણ એને ફરમાન સુણાવી દેવાયું કે નહીં એટલે નહીં. એ છોકરી બધાં પરિવારજનોને અને સગાં-સંબંધીઓને રીતસર કરગરતી હતી કે, મમ્મી-પપ્પાને સમજાવોને. કોઈએ ન સમજાવ્યું. એના ઘરમાં રોજ માતાજીની પૂજા થતી હતી. કુળદેવીને ભજતાં પિતાને એક પણ વખત દીકરીની શક્તિ ઉપર ભરોસો ન આવ્યો.

કેટલા બધા કિસ્સા રોજે રોજ અખબારના સમાચાર બનીને રહી જતાં હોય છે. હજુ પણ એવા લોકોની સંખ્યા ઓછી નથી કે જેઓ પહેલા ખોળે દીકરો જ ઇચ્છે છે. હજુ થોડા સમય પહેલાં જ એક સમાચાર વાંચ્યા હતા કે, રાજસ્થાનમાં એક પરિવારના ઘરે પહેલી દીકરી આવી ત્યારે થાળી વગાડીને એનું સ્વાગત કરાયું હતું. આ સમાચારથી ખુશ થવું કે દુઃખી થવું એ નક્કી કરી શકાતું નથી. ભેદ તો હજુ છે જ. આવું કરીને આપણે સુધારાવાદીનો ઢંઢેરો નથી પીટતાં? જે સહજ અને સ્વાભાવિક હોવું જોઈએ એ આટલું બધું સ્પેશિયલ કેમ થઈ જાય છે? દીકરી મા કે બાપને અગ્નિસંસ્કાર આપે તો તેને મિશાલ સમજવામાં આવે છે. એને આપણે સહજતાથી તો લઈ જ નથી શકતાં.

શક્તિની પૂજા માત્ર નવ દિવસ ન હોય. આ નવ દિવસ અને એક વુમન્સ ડે એમ દસ દિવસ આપણે સ્ત્રીની શક્તિ અને ભક્તિને ઊજવીએ છીએ. બાકીના ૩૫૫ દિવસનું શું? ક્યારેય એવું લાગે છે કે શક્તિને સમજવામાં આપણે ક્યાંક ચૂક કરીએ છીએ? જાણેઅજાણે શક્તિની લાગણીને ઠેસ પહોંચાડતાં હોઈશું ત્યારે માતાજી કે દેવીના દિલને ઠેસ નહીં પહોંચતી હોય?

રક્ષણના નામે આપણે કેટલી બધી વાર આપણી નજીકની શક્તિઓને જ અન્યાય કરતાં હોઈએ છીએ? એક વાહિયાત વાત વરસોથી સાંભળતાં આવીએ છીએ કે, નવરાત્રિ પછી એબોર્શનના કિસ્સાઓ વધી જાય છે. એ સમયે પણ વાંક તો સ્ત્રી કે દીકરીનો જ આવે છે. જેણે આવું કર્યું હોય છે એની તરફ કેમ કોઈ આંગળી નથી ચીંધતું? બધી જ ભૂલ છોકરીઓના નામે જ ચડાવી દેવાની? દિલ્હી જેવી કોઈ મોટી ઘટના બને ત્યારે આપણે મીણબત્તીઓ સળગાવીને મન મનાવી લઈએ છીએ. હકીકતે તો દિલમાં દીવા પ્રગટાવવાની જરૂર છે. આવાં પર્વ આપણને શક્તિની થોડીક નજીક લઈ જાય તો પણ એ વાત નાનીસૂની નહીં હોય.


(તા. 24 સપ્ટેમ્બર, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

jyotiu@gmail.com

Tuesday, 23 September 2014

કોનું કેરેક્ટર ઊંચું? 
એકમેકનાં મન સુધી : જ્યોતિ ઉનડકટ

કોઈ પણ વ્યક્તિના ચારિત્ર્યની ઓળખ કરવી હોય તો કેવી રીતે થઈ શકે? જાણકારો એવું કહે છે કે, એ વ્યક્તિ સાથે એકાંતમાં રહો તો એને ઓળખી શકો. તો કોઈ કહે એનો કપરો કાળ એ કેવી રીતે કાઢે છે એ જુઓ તો ખબર પડે કે એ વ્યક્તિ કેવી છે? વ્યક્તિની ઓળખ એટલે શું? એ વ્યક્તિનું ચારિત્ર્ય કે પછી એ વ્યક્તિની પ્રામાણિકતા? આ બંને એકબીજા સાથે જોડાયેલી વાત છે. જોકે, દુનિયામાં જીવતા મોટાભાગના લોકો ચારિત્ર્યની ઓળખને ટોચ ઉપર મૂકે છે.

કેરેક્ટરની વાત કરવાનું મન એટલે થયું કે, થોડા દિવસો પહેલાં શ્વેતાપ્રસાદ બસુ નામની ૨૩ વર્ષની અભિનેત્રી કોઈ ઉદ્યોગપતિ સાથે હોટેલમાં એક રેડ દરમિયાન ઝડપાઈ. પોલીસે સિફતપૂર્વક એ વેપારીનું નામ જાહેર ન કર્યું, પણ અભિનેત્રીની ઓળખ છતી કરી દીધી. 'મકડી' ફિલ્મ માટે નેશનલ એવોર્ડ જીતનારી, 'ઇકબાલ' ફિલ્મમાં હીરોની બહેનની ભૂમિકામાં દિલ જીતી જનારી શ્વેતાએ બાળપણમાં જ એની અભિનય ક્ષમતા બતાવી દીધી હતી. એનું બોલિવૂડમાં કે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ કેવું છે એ વિશે વાત નથી કરવી. વાત કરવી છે એ પકડાઈ ગઈ એ પછીની વાતની.

શ્વતાએ એવું કહ્યું કે, "હું એકલી આ સેક્સ સ્કેન્ડલમાં નથી. અનેક અભિનેત્રીઓ પોતાના દેહનો વેપાર કરે છે. એણે સૌથી વધુ આઘાતજનક વાત એ કરી કે, મારી પાસે રૂપિયાની તંગી હતી એટલે હું શોર્ટકટ અપનાવવા મજબૂર થઈ.

અરે! મારી બહેન, તારા કરતાં તો મારા ઘરની કામવાળી વધુ શીલવાન છે. જેને પળેપળ રૂપિયાની જરૂર છે છતાં એ પોતાના દેહનો વેપાર નથી કરતી. એક દિવસમાં એક-બે નહીં પંદર ઘરનાં કામ કરતી આ કામવાળી રોજના બાવીસ ઘરનાં કામ કરે તોપણ એની જરૂરિયાતો પૂરી થાય એમ નથી. એના ઉપર પણ પરિવારની બહુ જવાબદારીઓ છે, પણ એ કદીય કોઈના ઘરમાં ચોરી કરતી નથી. કોઈ ઘરે કામ કરતી હોય અને એ પુુરુષની નજરમાં જરા પણ સવાલ જાગે તો ગમે તેટલા રૂપિયા મળે પણ એ કામ છોડી દેતા અચકાતી નથી. રૂપિયા કમાવવા માટે કયા રસ્તે જવું એ દરેક વ્યક્તિની પોતાની પસંદગીની વાત છે. રોજેરોજ દેહનો વેપાર કરીને કમાવનારી સ્ત્રી પણ જવાબદારી નિભાવે છે, તો કેટલીક વખત પોતાના શોખની અને લક્ઝરી ભોગવવાની કોઈ મર્યાદા નક્કી ન કરી શકે ત્યારે એ ટૂંકા રસ્તાઓ અપનાવી લેતી હોય છે. એક મિત્રએ થોડા દિવસ પહેલાં જ બહુ સરસ વાત કરી હતી કે, તમારી કમાણીની મર્યાદા કે લિમિટ શું હોય એ તમે એક વાર નક્કી કરી લો પછી ક્યાં અટકવું એ તમને ખબર પડી જશે. કમાણી, જરૂરિયાત, લક્ઝરી, ઝાકમઝોળવાળી જિંદગી આ બધાંની કોઈ બાઉન્ડ્રી નથી હોતી. એ બાઉન્ડ્રી આપણે પોતે બાંધવી પડતી હોય છે. જ્યાં તમે તમારી મર્યાદા ન બાંધી શકો ત્યાં લપસવાના ચાન્સીસ વધુ છે.

પોતાના દેહનો વેપાર કરીને શ્વેતા કેટલો ચાર્જ લેતી હતી એ વાત પણ બહાર આવી છે. પોતાને ફિલ્મોમાં કામ નહોતું મળતું એટલે એ આ રસ્તે વળી ગઈ. એક મનોચિકિત્સકે આ કિસ્સો સાંભળીને કહ્યું કે, સાચી વાત એ છે કે, પોતાના ચારિત્ર્યનું હનન થાય ત્યારે સ્ત્રી હોય કે પુરુષ એનો આત્મા ડંખી જાય. આસ્તિત્વ હલી જાય, પરંતુ પોતાની પસંદગીથી એ રસ્તે ગયા હોઈએ ત્યારે શરૂઆતના સમયમાં કદાચ આત્મા ડંખતો હશે, પણ પછી એ બદલામાં મળતી તગડી રકમ ઘણી વખત એ દુઃખને ભુલાવી દેવામાં દવાનું કામ કરતી હશે.

જો ઇઝી મની મેળવવાનો આ જ રસ્તો હોય તો પારકાં કામ કરતી કે ઈંટોના ટોપલા ઉઠાવતી સ્ત્રીઓ પણ એ રસ્તે ચાલી જાય. સ્ત્રી હોય કે પુરુષ સુખી થવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. દરેક માણસને એવું હોય કે પોતાની સાથે જીવતી વ્યક્તિ, બાળકો અને પરિવાર સૌથી વધુ સુખ પામે, પણ એ સુખ તમને કઈ શરતે જોઈએ છે એટલી સમજ તમારે પોતે કેળવવી જોઈએ. ખોટા રસ્તે જઈને કદાચ રૂપિયા મળી જતા હશે, પણ એમાં સુખની કોઈ ગેરંટી નથી મળતી હોતી. તકલીફો વેઠીને કે ઓછી જરૂરિયાતમાં જીવીને ઘણી વખત અભાવ કે ફરિયાદો ખૂટતી નથી હોતી, પણ એ મહેનત અને ફરિયાદો વચ્ચે જિવાતી જિંદગીમાં સુખ કેટલું ધબકતું હોય છે એ બહુ ઓછા લોકો સમજી શકે કે પામી શકે છે.

(તા. 17 સપ્ટેમ્બર, 2014. બુધવાર. સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ)

jyotiu@gmail.com